વડોદરા
વડોદરાના પાદરાના ઉમરાયા ગામ ગેસ ગળતરની ઘટના બનતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ગણેશ કેમિકલ કંપનીમાં વાલ્વ લિકેઝ થતા ધુમાડાના ગોટે ગોટા ઉઠવા લાગ્યા હતાં. કેમિકલની દુર્ઘટનાને કારણે ગામમાં ગેસગળતરની સમસ્યા ઉભી થઇ હતી. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.
સોમવાર મોડી રાત્રે ગણેશ કેમિકલ કંપનીમાં કેમિકલ લિકેઝ થવાની ઘટના બની હતી. ગેસ લિકેઝ થવાના કારણે ગેસના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. જેના પગલે આજુબાજુના વિસ્તારોમાં વાતાવણમાં ગેસ ભળ્યો હતો.
હવામાં ગેસની તિવ્ર દુર્ગંધ પ્રસરતા આજુબાજુના ગામલોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઘટનાની જાણ થતાં ગામના લોકો આશરે 400થી 500 લોકો કંપનીની બહાર આવી પહોંચ્યા હતા. સાથે સાથે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતાં પાદરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિક લોકોના કહેવા મુજબ ગણેશ કેમિકલ કંપનીમાં કેમિકલથી ભરેલું એક ટેન્કર ફાટ્યું હતું. ટેન્કર ફાટતાં તેમાંથી સતત બેથી ત્રણ કલાક ગેસ નીકળ્યો હતો. જેના લીધે હવામાં ગેસ ભળી જતા આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ખાસ કરીને નાના બાળકો અને ઘરડા માણસોને શ્વાસ લેવામાં ખુબ વધારે તકલીફ પડી રહી છે.
અહીં આશરે 400થી 500ની સંખ્યામાં ગામ લોકો એકઠાં થયા છે. સ્થાનિકનું આરોપ છે કે, કંપનીમાં સેફ્ટીના કોઇ સાધનો નથી. કોઇ ઓપરેટર જવાબદાર વ્યક્તિ કંપનીમાં નથી. ઘટના બનવાની સાથે જ કંપનીમાંથી બધા માણસો જગ્યા છોડીને ભાગી ગયા છે. વધુ એક સ્થાનિકનું કહેવું છે કે, કંપનીની આજુબાજુના વિસ્તારમાં આશરે એક હજાર જેટલા લોકો રહે છે. જે અત્યારે ગેસના કારણે શ્વાસની તકલીફથી પીડાઇ રહ્યા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. વ્યાસના જણાવ્યા પ્રમાણે ગણેશ કંપનીમાં કેમિકલ લિકેઝની ઘટનાની જાણ અમને આશરે 9 વાગે થઇ હતી. જેથી અમે અમારા સ્ટાફ સાથે સ્થળ ઉપર આવ્યા હતા. જ્યાં અમે તપાસ કરતા જાણવા મળ્યું હતું. કે સલ્ફરિક એસિડની બહારથી આવેલી ટેન્કરમાંથી કેમિકલ ઠલવવાનું કામ ચાલતું હતું. જે દરમિયાન ટેન્કર પોતાના બેઝ પરથી પડી ગયું હતું. જેના કારણે વાલ્વ લિકેઝ થયો હતો અને ગેસ ગળતરની ઘટના બની હતી.