અમદાવાદના છેવાડે આવેલા કેમ્પ હનુમાન એ કોઈ ઓળખના મોહતાજ નથી. હનુમાન જયંતીના પાવન અવસર પર આવો જોયે કેમ્પ હનુમાન મંદિરનો નાનકડો ઈતિહાસ.
વર્ષો પહેલા અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતુ. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણુ સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પુજારીઓએ ઈન્કાર કર્યો.
અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડયા અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજુરો પર જ હુમલો કરતા હતા. આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડયો કે આ મંદિર હવે અહીં જ રહેશે.
અંગ્રેજી શાસનકાળમાં આર્મીના એક અંગ્રેજ ઓફિસરને પણ હનુમાનજીનો ચમત્કાર થયો હતો. તેઓએ સત્તાના મદમાં મંદિરના ભક્તો, પુજારીને હેરાન કરવા માંડ્યા. ત્યારે અચાનક ચમત્કાર થયો અને પોતે જ માનસિક અને શારીરિક પીડાથી પરેશાન થયા અને મનન ચિંતન કરતા તેને લાગ્યું કે ભગવાનના મંદિરને, ભક્તોને અડચણો આપવાથી હું દુ:ખી થયો છું. ત્યારે એક રોજ સવારે પાંચ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ પ્રભુ પાસે આવીને બેસી ગયા. પ્રભુ અને પુજારી પાસે ક્ષમા માંગી અને મંદિર વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનું બંધ કર્યું. તેઓ હિન્દુ નહિ હોવા છતાં પણ મંદિરના ભક્ત બન્યા.