@સ્નેહા ધોળકિયા, કટાર લેખક
સિનેમાઘરોમાં બેસીને પરદા પર ફિલ્મો જોવી તો બધાને જ ગમે છે, પણ શું આપણે એ ફિલ્મોમાં દર્શાવેલ સિદ્ધાંતો આપણાં જીવનમાં ઉતારવા માટે તૈયાર છીએ? એક દશકા પહેલા એક ખૂબ જ સફળ ફિલ્મ બની હતી, ‘ 3 idiots’ જેમાં ઘણાં બધાં વિષયો પર ધ્યાન આપવામાં આવ્યું હતું જેમકે મિત્રતા, માતા પિતા સાથેના સંબંધો, ભણતર, વગેરે. એમાં એક ખૂબ સરસ વાત કહેવામાં આવી હતી, સફળતાંની પાછળ દોડવા કરતા વ્યક્તિએ શ્રેષ્ઠતાનો રસ્તો પસંદ કરવો જોઈએ, એ રસ્તે સફળતા અવશ્ય પાછળ પાછળ આવશે. આ વિષય દર્શકોને ખૂબ જ ગમ્યો. ફિલ્મે ખૂબ કમાણી કરી, ખૂબ વખાણ લીધા, પણ દુઃખની વાત એ છે કે આ સિદ્ધાંત ફક્ત સિનેમાઘર સુધી જ સીમિત રહી ગયો.
મોટે ભાગે જોવા મળે છે કે જો એક વિદ્યાર્થીના એસ. એસ. સી. માં 80 ટકા ઉપર આવી ગયા તો ન છૂટકે એને વિજ્ઞાન પ્રવાહ લેવો જ પડે. જો કોઈ બાળક વેપારી કુટુંબનું હોય તો એને કોમર્સ જ લઈને બિઝનેસમાં પ્રવેશ કરવો જ પડે. પણ શું એ બાળક શું કરવા માંગે છે એની કોઈને ચિંતા હોય છે? ભલે એ 90 ટકા લઈ આવે પણ જો એને કોમર્સ પ્રવાહ માં રુચિ હોય તો? શું એને પોતાની રુચિ પ્રમાણે પગલાં લેવાનો અધિકાર ન મળવો જોઈએ? શું ફક્ત ગુણ જ નક્કી કરે છે કે કયું બાળક કેટલું બુદ્ધિશાળી છે? બધાં બાળકોનું મગજ એક જેવું ક્યારેય ન હોય. દરેક વ્યક્તિને પોતાની રુચિ અને ઉત્સાહ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર મળવો જ જોઈએ.
ઘણી વાર જાણવામાં આવે છે કે માતા પિતા જે સ્વપ્ન પૂરા ન કરી શક્યાં એ તેમના બાળકો પૂરા કરે એવી તેમની ઇચ્છા હોય છે. આ તો એ જ વાત થઈ ગઈ કે પોતાના સપનાઓ તો અપૂર્ણ રહ્યા જ અને બાળકો પાસે થી સપના જોવાનો હક જ છીનવી લીધો. આ રીત જ ખોટી છે. જો એક બાળક પોતાની ઋચિ પ્રમાણે પોતાના જીવનના નિર્ણય નહીં લઈ શકે તો તે આખું જીવન અશાંત અને નાખુશ રહેશે. જીવન પસાર કરવા માટે ફક્ત પૈસો જરૂરી નથી, પૈસો કમાવામાં મજા આવે છે કે નહીં એ પણ અગત્યનું છે. આખું જીવન કમને મજૂરી કરી અઢળક પૈસો કમાવા કરતાં પોતાની મરજીનું કામ કરી બે પૈસા ઓછા કમાવું વધારે સારું અને સંતોષજનક છે.
રોબોટની જેમ આડેધડ કામ કરી લાખો કમાવીને પણ હતાશા ભર્યું જીવન જીવવું સારું કે એક સ્વતંત્ર પક્ષીની જેમ ખુલ્લાં આકાશમાં ઊંચી ઊડાનો ભરી, ભલે ઓછા પૈસામાં, પણ એક સુખી, સંતોષી જીવન પસાર કરવું સારું? માતા પિતાએ તેમના બાળકો માટે કોઈ પણ નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર છે, પણ શું એ બાળક તેમના એ નિર્ણયથી ખુશ છે કે નહીં એની કાળજી લેવી એ પણ માતા પિતાનો જ ફરજ છે.
પરીક્ષામાં કેટલાં અંક આવ્યા એને આધાર રાખીને નિર્ણય લેવાં કરતાં સારું કે બાળકના મનમાં શું કરવાની ઇચ્છા છે એના પર નિર્ધારિત નિર્ણય લેવાય. એક નાનકડાં ખોટાં નિર્ણયથી આખા જીવન પર આડઅસર પડી શકે એ વાત હંમેશા યાદ રાખવી અને કોઈ પણ નિર્ણય લેતાં પહેલા પોતાનાં મનની વાત અવશ્ય ધ્યાનમાં રાખવી. જે કામમાં રુચિ હશે, એ જ કામ વ્યક્તિ શ્રેષ્ઠ રીતે કરી શકશે, અને જે કામ શ્રેષ્ઠ હશે એમાં સફળતાં મળવું તો સ્વાભાવિક છે. એટલે જીવનમાં સફળતાં અગત્યની નથી, શ્રેષ્ઠતા છે.
ભૂલ હંમેશા સુધારી શકાય, પણ ખેદ ક્યારેય ન ઓછું થાય. ભવિષ્યમાં ખેદ થાય એવાં પગલાં ક્યારેય ન લેવાં. મહત્વના નિર્ણયો આવેગમાં કે હતાશામાં ન લેવાય, ખૂબ સમજી વિચારીને, શાંત મગજથી જ લેવાય, એ હંમેશા યાદ રાખવું. સંયમતાથી લેવાયેલ નિર્ણયો કદી ખોટાં સાબિત નથી થતાં, એ જ નિર્ણયો ભવિષ્યનું નિર્માણ કરે છે અને સંતોષપૂરવક જીવનનો પાયો સ્થાપિત કરે છે.