આરોગ્ય/ નાસ્તા બદલશો તો વજન ‘ઓટો મોડ’માં ઘટવા લાગશે

રવેમાં જાણવા મળ્યું કે માત્ર ૫૦ ટકા લોકો જ ભૂખ્યા હોય ત્યારે સ્નેક્સ શોધે છે,બાકીના ૫૦ ટકા લોકોનો મૂડ સારોના હોય અથવા તો મસ્તીના મૂડમાં હોય તો નાસ્તો કરીને દુઃખ અને આનંદનો અહેસાસ કરે છે

Health & Fitness Lifestyle
11 3 નાસ્તા બદલશો તો વજન ‘ઓટો મોડ’માં ઘટવા લાગશે

એક ગ્લોબલ માર્કેટિંગ રિસર્ચ કંપનીએ તેના સરવેમાં સાબિત કર્યું છે કે ભારતીયો ભૂખ લાગે ત્યારે નહીં, પરંતુ રિલેક્સ થવા અને સ્ટ્રેસ ઘટાડવા માટે સ્નેક્સ ખાય છે. આ કારણે તેઓ જીભને ગમે તેવી વાનગીઓ પેટમાં પધરાવે છે. આપણા ત્યાં સ્નેક્સ માટેની જે વાનગીઓ હોય છે તે મોસ્ટ અનહેલ્ધી હોય છે. ખોટા સમયે ખોટી વસ્તુઓ ખાઈએ તો પછી હેલ્ધી ખોરાકની કોઈ અસર પણ થતી નથી.

છેલ્લા બે દાયકામાં ઓબેસિટીનું પ્રમાણ લગભગ બમણુ થઈ ગયું છે, આવું કેમ થઈ રહ્યું છે, ખાવામાં લોકોની શું ભૂલો થાય છે તે સમજવા માટે થયેલા દોઢ વર્ષના અભ્યાસ પછી તારણ નીકળ્યું કે લંચ અને ડિનર ઉપરાંત કંઇ પણ ખાવાની આદતથી શરીરમાં વધારાની ચરબી થાય છે. સરવેમાં જાણવા મળ્યું કે માત્ર ૫૦ ટકા લોકો જ ભૂખ્યા હોય ત્યારે સ્નેક્સ શોધે છે. બાકીના ૫૦ ટકા લોકોનો મૂડ સારોના હોય અથવા તો મસ્તીના મૂડમાં હોય તો નાસ્તો કરીને દુઃખ અને આનંદનો અહેસાસ કરે છે.

આ સરવે મુજબ ૬૦ ટકા લોકો દિવસમાં બે વાર નાસ્તો કરે છે. જ્યારે ૧૫થી ૨૦ ટકા લોકો દિવસમાં ચારથી પાંચ વાર નાસ્તો કરે છે. રાત્રે મોડા સુધી જાગવાનું છે તો કંઈક ખાવાનું, બપોરે કંટાળો આવે છે તો કંઈક ખાવાનું, ડીનરમાં વાર લાગે તેમ હોય તો પણ કંઇક ખાવું. ક્યારેક વ્યક્તિ કોઈ પ્રકારનો સ્ટ્રેસ ઘટાડવા માટે પણ નાસ્તો શોધે છે. કેટલાક લોકો કામમાંથી બ્રેક લઈને રિલેક્સ થવા માટે કંઈક શોધે છે.
એટલું જ નહીં આપણા માટે તો તહેવાર, પાર્ટી, ફિલ્મ જોવા જવું અથવા અમસ્તા ઘરની બહાર આંટો મારવા પણ નિકળવાનું હોય તો તેનો અર્થ અને અંત માત્ર જમવું કે કંઈક ખાવું તેવો છે. નાની-મોટી ખુશી કે મેળાવડો અથવા કોઈ મિત્ર મળી જાય કે પછી ક્યાંય ફરવા નીકળ્યા હોય તો એમ થાય ચાલો કંઈક ખાઈ લઈએ. આપણે સમોસા, બેકરી આઇટમ, વડાપાંઉ, દાબેલી જેવા નાસ્તા કરીએ છીએ. ઘરમાં તળેલા નાસ્તા કે કુકીઝના ડબ્બા તો ભરેલા જ રાખીએ છીએ. દિવસ કંઈક ને કંઈક ખાતા જ રહીએ છીએ. જમવાના સમયે જમવું અને બાકીના સમયે પેટને આરામ આપવો તેવી સભાનતા આપણામાં આવી નથી. જેના કારણે લંચ કે ડિનર ભલે માપમાં લેતા હોઈએ, પરંતુ નાસ્તાના નામે પેટમાં કચરો ઠાલવો એટલે ડાયેટ પ્લાનની ઐસી કી તૈસી થઈ જાય.

હેલ્ધી સ્નેક્સ

આપણને કોઇ પણ સમયે કોઇ પણ વસ્તુ ખાવાની આદત પડી ગઈ છે, પરંતુ જો એ સમયે આપણે હેલ્ધી વસ્તુ ખાવાનું રાખીએ તો બહુ વાંધો આવતો નથી. હેલ્ધી સ્નેક્સમાં આપણે ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, ખારેક, સીડ્સ, સોયાબીન, સિંગ કે ચણા જેવી વસ્તુ ખાવી જોઈએ. પેકેટમાં મળતી સ્નેક્સ આઇટમ હેલ્ધી નથી કેમ કે તેમાં મોટા પ્રમાણમાં શુગર અને સોયાબીન હોય છે. તમે સ્નેક્સમાં બોઇલ્ડ ફણગાવેલા કઠોળ, વેજિટેબલ પૌંઆ, ઉપમા, પોપકોર્ન, શેકેલા મમરા, પૂરી વગરની ભેળ પણ ખાઈ શકો છો.

ફાસ્ટફૂડ અનહેલ્ધી

ભેળપૂરી, સેવપૂરી, વડાપાંઉ, ઈડલી, ઢોસા, સમોસા, દાબેલી જેવા ફાસ્ટફૂડમાં પ્રોટીનની માત્રા ઘણી ઓછી હોય છે અને સહેલાઈથી પચી જાય તેવું કાર્બોહાઇડ્રેડ હોય છે. તેથી તમને આ બધું ખાધા પછી થોડી વારમાં ભૂખ લાગે છે. તમે ફરી પેટમાં કંઈક અનહેલ્ધી પધરાવો છો. નાસ્તામાં તમે પ્રોટીનયુક્ત ચીજો લો તો તે ઓવરઓલ ડાયેટને બેલેન્સ કરે છે.