પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમેરિકા દેશમાં સૈન્ય થાણાની માંગ કરી રહ્યું છે, પરંતુ તેઓ તેમની માંગણીઓ સાથે ક્યારેય સંમત થયા નથી. ઈમરાન ખાને ગયા મહિને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ઈમરાને કહ્યું કે અમેરિકા પાકિસ્તાનમાં સૈન્ય મથક ઈચ્છે છે જેથી તે અહીં અફઘાનિસ્તાનના આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરી શકે. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. ઈમરાન ખાને વધુમાં કહ્યું હતું કે અમેરિકાની આગેવાની હેઠળના ‘આતંક સામેના યુદ્ધ’માં પાકિસ્તાન પહેલાથી જ 80,000 જીવ ગુમાવી ચૂક્યું છે. આ હોવા છતાં, તેમના બલિદાનની કદી કદર કરવામાં આવી ન હતી, તેના બદલે અમેરિકન રાજકારણીઓ અમને જવાબદાર ઠેરવવા લાગ્યા.
પૂર્વ PMએ વધુમાં કહ્યું કે, પહેલા તેઓએ અમને દોષિત ઠેરવ્યા, પછી તેમણે અમારા દેશ અને આદિવાસી વિસ્તારોને બરબાદ કર્યા. આ પછી તેણે સૈન્ય થાણાની માંગણી શરૂ કરી. પરંતુ હું તેના માટે ક્યારેય તૈયાર નહોતો અને ત્યાંથી જ અમારી વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ.
એક અહેવાલ પ્રમાણે ઈમરાન ખાને જૂન 2021માં એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકાને સૈન્ય મથકો અને તેના ક્ષેત્રનો ઉપયોગ કરવાની બિલકુલ મંજૂરી નહીં આપે. ઈમરાન ખાનનું નવું નિવેદન તાજેતરના પોડકાસ્ટમાં તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી જેવું જ હતું, જ્યાં તેમણે કહ્યું હતું કે અમેરિકા આંતરરાષ્ટ્રીય આતંકવાદને રોકવા માટે અફઘાનિસ્તાનમાં છુપાયેલા સ્થળો શોધી રહ્યું છે.