ગુજરાતમાં કરચોરી અને બોગસ બિલીંગ કરનારાઓ સામે જીએસટી વિભાગે બાયો ચઢાવી છે. ખોટી રીતે પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની ધરપકડ કરવા અને તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે જીએસટી વિભાગે ઉંડાણપૂર્વકના સંશોઘન અને વિગતોના આધારે તપાસ હાથ ધરી ઘણી બોગસ પેઢીઓને શોધી કાઢી છે. એટલુ જ નહીં પરંતુ આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પકડાયેલા ઓપરેટર્સ સામે કડક અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાંઆવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગના ગુનામાં કુલ 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરની જ વાત કરીએ તો બોગસ પેઢીઓ દ્ધારા ખોટી વેરશાખા ભોગવી હોય તેવા 41 વેપારીઓના કુલ 56 સ્થળોએ દરોડાની કામગીરી કરવામાં આવી છે. આ તમામ વેપારીઓ દ્વારા બોગસ બિલીંગ થકી મોટી રકમની વેરશાખ ભોગવવામાં આવી રહી હતી.જો કે, આ કેસની હાલ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ જીએસટી વિભાગ દ્વારા રાજયના તમામ પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 25 જેટલા પેટ્રોલપંપો પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ 6, નવસારી 4, ડાંગ 2, ભાવનગર 3, રાજકોટ 2, વલસાડ 1,ઈડર 3, ભિલોડા 1, ભરુચ 1, ગોધરા 1 અને વડોદરા 1 મળીને કુલ 25 પંપો પર સઘન ચેકિંગ કરવામાં આવી હતી.
જીએસટી વિભાગ દ્ધારા કડકકાર્યવાહી હાથ ધરવામાં આવતા ખોટી રીતે કામગીરી કરતા વેપારીઓ અને પેઢીઓના માલિકોમાં ફફડાટ જોવા મળે છે. આગળ જતા ધરપકડનો આંક વધવાની પુરી શક્યતા વર્તાઇ રહી છે.