અમદાવાદ: હિન્દુ પંચાંગ મુજબ આજના દિવસને ઉત્તરાયણ ગણવામાં આવે છે કારણ કે, આજથી સૂર્ય નારાયણ ઉત્તર દિશા તરફ ગતિ કરે છે, તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે. એટલું જ નહી આજે અમદાવાદ અને ગુજરાતના જ નહી સમગ્ર ભારતના લોકો રાત લાંબી અને દિવસ ટૂંકાનો અનુભવ કરશે.
આજે અમદાવાદમાં ૧૩ કલાક ર૦ મિનિટની લાંબી રાત્રિ અને મુંબઈમાં ૧૩ કલાક અને ૪ મિનિટની લાંબી રાત્રિનો લોકો અનુભવ કરશે. જો કે આવતીકાલથી રાતનો સમય ક્રમશ: ટૂંકો થતો જશે. આમ થવાનું કારણ એ છે કે, જો પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત ૧ર-૧ર કલાકનાં બને છે. પરંતુ પૃથ્વીની ધરી થોડી ત્રાંસી હોવાન કારણે દિવસ રાતના સમયમાં ફેરફાર થતો રહે છે.
પૃથ્વી પોતાની ધરી ઉપર ૨૩.૫ના ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાથી પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી સહિતની વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યનાં કિરણોના કારણે થાય છે. ગુરુવારે સૌથી લાંબામાં લાંબા દિવસની અનુભૂતિ કર્યા બાદ દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે અને તેની સામે રાત ક્રમશઃ લાંબી થતી જશે. આ ખગોળીય ઘટના વર્ષાનુવર્ષ ચાલતી જ રહે છે.
ગત માર્ચ-૨૦૧૮ની તા. ૨૦ અને ૨૧મીએ દિવસ અને રાત બંને સરખાં હતાં. ત્યાર બાદ દિવસ ક્રમશઃ લાંબો થતો ગયો હતો અને તેની સામે રાત ક્રમશઃ ટૂંકી થતી ગઈ હતી. ગુજરાતભરમાં અંગ્રેજી મહિના પ્રમાણે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્કવૃત્ત અને મકરવૃત્ત પરથી સૂર્યના પરત ફરવાની ક્રિયાને અયન કહેવામાં આવે છે. આજે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે. તેથી સૂર્યનું પ્રયાણ ઉત્તરાયણ થશે. મહાભારતના સમયમાં ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે આજનો દિવસ પસંદ કર્યો હતો.
સૂર્ય આગામી તા. ર૧ જૂન પછી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરશે. આ ઘટનાને ખગોળશાસ્ત્રમાં દક્ષિણાયન કહેવામાં આવે છે. સૂર્ય ઉત્તર દિશા તરફ વધતો જતો હોવાના કારણે પૃથ્વીની ઉત્તર ગોળાર્ધ તરફના દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે, જેના કારણે આ સ્થિતિ સર્જાય છે. આ પછી તા.૨૨ જૂનથી ક્રમશઃ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જોવા મળે છે.
ભારતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ અને મિનિટના તફાવતથી દિવસ અને રાતમાં ફેરફાર જોવા મળે છે.
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત એક વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને ખગોળીય ભાષામાં સંપાત દિવસ કહેવાય છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા, ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યની પરિભ્રમણ ગતિ વગેરે પરિળો પર આધારિત હોય છે.