પંજાબ : પશ્ચિમ બંગાળ બાદ હવે પંજાબમાં પણ ભારતીય ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. CM ભગવંત માને કહ્યું કે AAP પંજાબની તમામ લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. અગાઉ આપ પાર્ટીના નેતા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન અગાઉ જાહેર મંચ પર એકલા ચૂંટણી લડવાના સંકેત આપી ચૂકયા છે. જો કે આજે જાહેર મંચમાં પ્રથમ વખત આપ પાર્ટી દ્વારા ઘોષણા કરવામાં આવી કે તેમનો પક્ષ પંજાબમાં તમામ 13 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. અને ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ આ 13 બેઠકો માટે કુલ 40 ઉમેદવારોને પણ શોર્ટલિસ્ટ કર્યા છે. જ્યારે આ પહેલા પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટી
આ પહેલા પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી હતી . પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સીટોની વહેંચણી પર બંને પક્ષોના નેતાઓ સહમત નથી થઈ શક્યા. આ મામલે દિલ્હીના CM અને આપ નેતા અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન અને પંજાબ AAPના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં સ્વતંત્ર રીતે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. પંજાબમાં તમામ 13 બેઠકો પર ઉમેદવારોની પસંદગી પણ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ 13 બેઠકો પરના ઉમેદવાર સામાજિક કાર્યકરો, રમતવીર, અભિનેતા, ડોક્ટર, રાજકારણીઓ અને વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લોકો છે.
મમતા બેનરજી
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે પહેલેથી જ કહ્યું છે કે કોંગ્રેસે 300 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ અને પ્રાદેશિક પક્ષોને તેમના વિસ્તારોમાં ભાજપ સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપવી જોઈએ. જો તેઓ દખલ કરશે તો અમારે ફરીથી વિચારવું પડશે. લોકસભા ચૂંટણીમાં બેઠકોના વિતરણને લઈને મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા હાથે ભાજપને હરાવીશું. મમતાની આ જાહેરાતને કારણે પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ભારત ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સીએમ મમતા બેનર્જીએ એકલા ચલોનો નારો આપ્યો છે. મમતાએ કહ્યું કે હું ભારત ગઠબંધનનો ભાગ છું છતાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને અમને કોઈ જાણ કરવામાં આવી નથી. તેમજ લોકસભા ચૂંટણીને લઈને કરવામાં આવેલ બેઠકોને લઈને અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ચૂંટણીને લઈને ટીએમસીના વડા મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિત અન્ય ગઠબંધન ભાગીદારોના અગ્રણી નેતાઓ સાથે ટૂંક સમયમાં બેઠક કરવામાં આવશે.
સંકલનનો અભાવ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એકબાજુ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી નાગરિકો સાથે સંકલન સાધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની અધ્યક્ષતામાં રચાયેલ વિવિધ પક્ષોનું INDIA ગઠબંધન સંકલનના અભાવે તૂટતુ હોવાનું દેખાઈ રહ્યું છે. મમતા બેનરજી બાદ આપ પાર્ટી અને હવે કદાચ નીતિશ પણ કોંગ્રસને વધુ એક ફટકો આપે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ