અમદાવાદ: કેન્દ્ર સરકારના નીતિ આયોગે સર્વાંગી પરિવર્તન માટે મહત્ત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે દેશના 115 પછાત જિલ્લાઓનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જેમાં ગુજરાતના બે પછાત જિલ્લા દાહોદ અને નર્મદાની પસંદગી કરવામાં આવી હતી. આ યોજનાના મોનિટરિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે આઈએએસ રાજકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી.
સર્વાંગી પરિવર્તન માટે દાહોદ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ખેતીવાડી, કૌશલ્ય વર્ધન અને નાણાકીય બાબતોનો સમાવેશ અને મૂળભૂત સુવિધાઓ આ પાંચ મુખ્ય ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધિઓ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું અને તેમાં ખુટતી કડીઓ-સુવિધાઓની ઉપલબ્ધિ માટે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સૂચવાયેલા જુદા- જુદા ૪૯ જેટલા ઇન્ડીકેટર્સ મુજબ સમયબધ્ધ એક્શન પ્લાન ઘડી કાઢવા માટેના આદેશો આપવામાં આવ્યા હતાં. આ આદેશોના દિશા-નિર્દેશો મુજબ ‘ટીમ દાહોદે’ ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-દાહોદનો 2018થી 2022 સુધીનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો.
જેના અંતર્ગત શિક્ષણનું સ્તર સુધારવા, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની નિમણૂકો ઉપરાંત તબીબી સાધનો પૂરા પાડવા, બાળમૃત્યુ દર-માતા મૃત્યુદર નીચો લાવવા, કૂપોષણ દૂર કરવાની સાથોસાથ સ્થાનિક લોકોનું પછાતપણું દૂર કરી આ જિલ્લામાં માનવ વિકાસ સૂચકાંક ઉપર આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. જેના પરિણામે દાહોદ જિલ્લાની દરેક ક્ષેત્રે પ્રગતિ સધાતાં તેનો ડેલ્ટા રેન્ક 19.8 આવતાં તે દેશના મહત્વાકાંક્ષી 115 જિલ્લાઓમાં પ્રથમ ક્રમે જાહેર કરવામાં આવ્યો હતો.
અધૂરાં કાર્યોને તાકીદે પૂર્ણ કરાયા: કલેકટર
‘ટીમ દાહોદ’ની મહેનતના કારણે પાંચ ક્ષેત્રના 49 ઇન્ડીકેટર્સ મુજબના એક્શન પ્લાનમાં બતાવેલા અધૂરાં કે ખુટતાં કાર્યોને તાકીદે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા હતાં અને જેના કારણે જ આપણે (દાહોદ જિલ્લાએ) આ સફળતા હાંસલ કરીને દેશમાં પ્રથમ ક્રમે પહોંચી શક્યા છીએ, તેવું દાહોદ જિલ્લાના કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું.