અમદાવાદ: ગુજરાતના ગિર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે તા. ૧૫થી ૧૭મી જુલાઈ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ક્ષેત્રિય પ્રચારકોની એક ત્રિદિવસીય વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સંઘના રાષ્ટ્રીય સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે તેવી સંભાવના છે.
આરએસએસ દ્વારા જાહેર કરાયેલ એક યાદી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રાંત પ્રચારકની બેઠક સોમનાથ ખાતે આગામી તા. 15 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન યોજાનાર છે.
આ ત્રિદિવસીય બેઠકમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક (પ્રમુખ) મોહન ભાગવત, સરકાર્યવાહ (મહામંત્રી) ભૈયાજી જોશી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તમામ સહ સરકાર્યવાહ, કેન્દ્રીય કાર્યકારિણીના સદસ્યો, ક્ષેત્ર પ્રાચારકો, પ્રાંત પ્રચારકો, સહ પ્રાંત પ્રચારકો સહિત વિવિધ ક્ષેત્રોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ ત્રિદિવસીય બેઠકમાં સંગઠનની ગતિવિધિઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ યાદીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રચારકોની બેઠક અગાઉ જ મોહન ભાગવત અને ભૈયાજી જોશી આરએસએસના અન્ય નેતાઓની સાથે મુલાકાત કરવા માટે તા. 12થી 18 જુલાઈ દરમિયાન સોમનાથમાં ઉપસ્થિત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તા. 12 જુલાઈથી સોમનાથ ખાતે આવી પહોંચનાર સંઘના વડા મોહન ભાગ્વાતની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત થાય તેવી સંભાવના છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહ તા. 13 મી જુલાઈના રોજ સોમનાથ ખાતે સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત મોહન ભાગવત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સાથે મુલાકાત થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ તા. 13 અને 14 જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ ગુજરાત આવે ત્યારે તેઓ સોમનાથની મુલાકાત લે છે. ત્યારે આ વખતે સોમનાથમાં મોહન ભાગવત તા.૧૨મીથી ૧૮મી જુલાઈ સુધી ઉપસ્થિત છે. ત્યારે અમિત શાહ અને મોહન ભાગવત વચ્ચે મુલાકાત થાવાની શક્યતા વધુ બળવત્તર બની છે.