દિલ્લી,
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝન માટે ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર આર. અશ્વિનને કિંગ્સ ઈલેવન પંજાબની કમાન સોપવામાં આવી છે. જાન્યુઆરીમાં યોજાયેલી IPLની નીલામીમાં કિંગ્સ ઈલેવન પંજાબે આર. અશ્વિનને ૭.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા આર. અશ્વિન ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી ચેન્નઈ સુપર કિંગ્સ તેમજ ૨૦૧૬ થી ૨૦૧૭ સુધી રાઈઝીંગ પુને સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યો છે.
કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આર. અશ્વિન એ મુખ્ય વ્યૂહરચનાકર, ક્રિકેટની ગેમના દરેક પાસાને સમજનાર તેમજ ક્રિકેટની રમતના વિશાળ અનુભવને જોતા તેઓ કિંગ્સની ટીમને આગળ તરફ દોરી શકે છે. તેઓ આ પહેલા બે વખત IPLની વિજેતા ટીમના સભ્ય રહી ચૂક્યા છે અને હવે આ સિઝનમાં પોતાની યાદીમાં ત્રીજું ટાઈટલ ઉમેરવા માટે ભૂખ્યા છે.
મહત્વનું છે કે, આર.અશ્વિન ૨૦૧૭માં રમાયેલી વેસ્ટઇન્ડીઝ સામેની સીરીઝ બાદ ભારતની વન-ડે અને ટી-૨૦ ટીમનો સભ્ય રહ્યો નથી. આર. અશ્વિન આઈપીએલમાં રમાયેલી ૧૧૧ મેચમાં કુલ ૧૦૦ વિકેટ મેળવી ચૂક્યો છે.
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં ક્રિશ ગેયલ, યુવરાજ સિંહ અને એરોન ફિન્ચ જેવા સ્ફોટક ખેલાડીઓ ટીમમાં છે ત્યારે અશ્વિન પોતાના શાંત સ્વભાવને જોતા ટીમ માટે અઘરા નિર્ણયો લઇ શકે છે. તેમજ જે રીતે અશ્વિન ભારતીય માટે મુલ્યવાન રન બનાવતો જોઈ શકાયો છે ત્યારે તે પંજાબની ટીમ માટે પણ ચોક્કસ રીતે આ યોગદાન આપી શકશે.
બીજી બાજુ પંજાબની ટીમની કેપ્ટનસી અંગે અશ્વિને જણાવ્યું હતું કે, “ટીમની કેપ્ટનસીના કારણે કોઈ વધારાનું દબાણ મારા પર નહિ હોય. હું ક્રિકેટના આવા પ્રતિભાશાળી જુથની જવાબદારી નિભાવવી એ મારા માટે એક સન્માનની બાબત છે”.