કલકત્તા,
કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૯ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ૧૯૧ રનના બદલામાં ડકવર્થ લુઇસ નિયમના આધારે આપવામાં ટાર્ગેટને માત્ર ૧ વિકેટના નુકશાને વટાવી પંજાબે ધમાકેદાર જીત મેળવી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન ગેઈલ અને લોકેશ રાહુલ રહ્યા હતા. પરંતુ કે એલ રાહુલને માત્ર ૨૭ બોલમાં ૬૦ રનની તુફાની ઇનિંગ્સ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૯૧ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. કોલકાતા તરફથી કાંગારું સ્ફોટક ઓપનર ક્રિશ લીને માત્ર ૪૧ બોલમાં ૭૪ રન બનાવ્યા હતા.
મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથ્થપાને ૨૩ બોલમાં ૩૪ રન ફટકારી આર.અશ્વિનનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે કેપ્ટન દિનેશ કાર્તિકે ૨૮ બોલમાં ૪૩ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાયે ૨ વિકેટ ઝડપી હતી.
KKR દ્વારા આપવામાં આવેલા ૧૯૮ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમની શરૂઆત સારી રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર ક્રિશ ગેઈલ અને કે એલ રાહુલની જોડીએ માત્ર ૮.૨ ઓવરમાં જ ટીમનો સ્કોર ૯૬ રન સુધી પહોચાડ્યો હતો. જો કે ત્યારબાદ વરસાદના કારણે મેચ રોકવામાં આવી હતી અને પંજાબને ૧૩ ઓવરમાં ૧૨૫ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
ડકવર્થ લુઇસ નિયમના આધારે આપવામાં આવેલા ૧૨૫ રનના ટાર્ગેટને પંજાબની ટીમે માત્ર ૧ વિકેટે વટાવી ટુર્નામેન્ટમાં પોતાની ચોથી જીત હાંસલ કરી હતી. પંજાબ તરફથી કે એલ રાહુલે ૨૭ બોલમાં ૬૦ રન ફટકાર્યા હતા જયારે કેરેબિયન સ્ફોટક ઓપનર ગેઇલે ૩૮ બોલમાં ૬ સિક્સર સાથે અણનમ ૬૨ રન બનાવ્યા હતા. જયારે KKR તરફથી સુનિલ નરીને ૧ વિકેટ ઝડપી હતી.