અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અમદાવાદ મેટ્રોને બરોબરની ફળી રહી છે. શહેરીજનો માટે તો અમદાવાદ મેટ્રો પહેલી પસંદ તો છે જ, પરંતુ આઇપીએલના ક્રિકેટ રસિકો માટે પણ મેટ્રો પહેલી પસંદ બનીને ઉભરી આવી છે. અમદાવાદમાં આઇપીએલની ત્રણ જ મેચ રમાઈ ચૂકી છે અને લગભગ 2.65 લાખ પ્રેક્ષકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. આ ત્રણ મેચ થકી જ મેટ્રોને 50 લાખ રૂપિયાની આવક થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમદાવાદમાં આઇપીએલની આઠ મેચ યોજાઈ હતી. તેમા લગભગ 6.52 લાખ લોકોએ મુસાફરી કરતાં અમદાવાદ મેટ્રોને તેના થકી 1.07 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આમ મેટ્રો શરૂ થયા પછી અમદાવાદ મેટ્રો મુસાફરોનું પ્રીતિપાત્ર સાધન બની ચૂકી છે. 2023ના વર્ષમાં અમદાવાદ મેટ્રોની સરેરાશ દૈનિક રાઇડરશિપ 90 હજાર પ્રવાસીઓની હતી. મેટ્રોના બીજા તબક્કાઓ કાર્યાન્વિત થવાના છે તે પગલે 2024ના અંતે તેની સરેરાશ દૈનિક રાઇડરશિપ દોઢ લાખે પહોંચી જાય તેમ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી ગાંધીનગર સુધીનો મેટ્રોનો તબક્કો જુન સુધીમાં કાર્યાન્વિત થવાનો છે. આ ઉપરાંત થલતેજ સુધી પણ મેટ્રો સક્રિય થવાની છે. આગામી દિવસોમાં મેટ્રોને થલતેજથી શીલજ, બોપલ, મણિપુર સુધી લઈ જવાનું આયોજન છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું