IPL 2026 Rain Impact: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 12મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની હતી, પરંતુ ઈડન ગાર્ડન્સમાં આવેલા વાવાઝોડા અને વરસાદે ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું. મેચ રદ થતા બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે, જેનાથી પંજાબ 5 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે, પરંતુ KKR માટે આ ઝટકા સમાન છે.
ઈડન ગાર્ડન્સમાં શું થયું?
7 એપ્રિલ 2026 ના રોજ રમાયેલી આ મેચમાં KKR એ 3.4 ઓવરમાં 25 રને 2 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો. સ્થિતિ એટલી ખરાબ હતી કે પ્રેસ બોક્સ પણ હલવા લાગ્યું હતું. અમ્પાયરો અને સૌરવ ગાંગુલીએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ રાત્રે 11 વાગ્યે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ વાત એ છે કે કેકેઆર ની હવે પછીની મેચ પણ લખનઉ સામે આ જ મેદાન પર છે, જ્યાં ફરી વરસાદની શક્યતા છે.
વરસાદ જ્યારે પ્લેઓફ માટે વિલન બન્યો
આઈપીએલના ઈતિહાસમાં અનેકવાર એવું બન્યું છે કે વરસાદે ટીમોનું ગણિત બગાડી નાખ્યું હોય:
17 મે 2025 (KKR vs RCB): આ મેચ રદ થતા કેકેઆર ને એક પોઈન્ટ મળ્યો અને તે પ્લેઓફની રેસમાંથી ગાણિતિક રીતે બહાર થઈ ગઈ. જો મેચ રમાઈ હોત અને કોલકાતા જીતી હોત તો ચિત્ર અલગ હોત.
13 મે 2024 (GT vs KKR): અમદાવાદમાં વરસાદ અને વીજળીના કારણે મેચ રદ થઈ, જેનાથી ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ અને KKR એ ટોપ-2 માં જગ્યા બનાવી.
22 મે 2008 (DC vs KKR): આઈપીએલ ઈતિહાસની પ્રથમ રદ થયેલી મેચ. દિલ્હી અને કોલકાતા વચ્ચેની આ મેચ ધોવાઈ જતાં પંજાબને પ્લેઓફની ટિકિટ મળી અને KKR નું સફર ત્યાં જ ખતમ થઈ ગયું.
KKR: આઈપીએલની સૌથી કમનસીબ ટીમ?
આંકડા મુજબ, કેકેઆર આઈપીએલની એવી ટીમ છે જેને વરસાદે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. અત્યાર સુધીમાં કોલકાતાની અંદાજે 8 મેચો વરસાદને કારણે રદ થઈ છે. 2008 થી લઈને 2026 સુધીના અલગ-અલગ સીઝનમાં ટીમને વારંવાર 2 પોઈન્ટના બદલે 1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો છે, જે પ્લેઓફમાં પહોંચવા માટે ઘણીવાર નડતરરૂપ બન્યું છે.
BCCI નો 120 મિનિટનો નવો નિયમ
વરસાદના ખતરાને જોતા BCCI એ 2025 થી લીગ મેચો માટે પણ 120 મિનિટ વધારાનો સમય આપવાનો નિર્ણય કર્યો છે. હવે 20 ઓવરની મેચ રાત્રે 9:30 સુધી શરૂ થઈ શકે છે, જ્યારે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ માટે કટ-ઓફ ટાઈમ રાત્રે 11:56 રાખવામાં આવ્યો છે.



