ઇરાનની ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપતા અમેરિકા ચિંતિત થયું છે. અમેરિકાએ ઇરાનની ધમકીને પગલે પોતાના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. સાથે ખાસ કરીને સંદેશ જારી કર્યો છે કે નાગરિકોએ ઇઝરાયેલ જવાનું ટાળવું જોઇએ કારણ કે ઇરાન ગમે ત્યારે ત્યાં હુમલો કરી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈઝરાયેલે સીરિયામાં ઈરાનના રાજદ્વારી કાર્યાલય પર જોરદાર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના જનરલ સહિત NGOના કર્મચારીઓ પણ માર્યા ગયા હતા. ઇઝરાયેલના હવાઈ હુમલાનો જવાબ આપવાના ઇરાને સંકેત આપ્યા છે. ઇરાનની ધમકીથી મહાસત્તા કહેવાતું અમેરિકા ડરી ગયું છે અને નાગરિકોની સુરક્ષાને લઈને સલાહ આપી છે.
અમેરિકાએ નાગરિકોને આપી સલાહ
આ સિવાય અમેરિકાએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને ગ્રેટર જેરુસલેમ અને તેલ અવીવની બહાર મુસાફરી ન કરવા પણ કહ્યું છે. તેનું કારણ એ છે કે ઈઝરાયેલના બંને મોટા શહેરોમાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા છે, પરંતુ દૂરના વિસ્તારોમાં ઈરાનના હુમલાથી નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, બ્રિટને પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને તેના વિદેશ મંત્રી લોર્ડ કેમેરોને ઈરાનને હુમલો કરવાથી દૂર રહેવા કહ્યું છે. ઈઝરાયેલે હજુ સુધી સીરિયામાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી કે નકારી કાઢી નથી. આવી સ્થિતિમાં ઈરાનનો દાવો મજબૂત બની રહ્યો છે કે યહૂદી દેશે જ હુમલો કર્યો હતો.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ
વાસ્તવમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે અન્ય દેશોમાં પણ યુદ્ધ ફેલાવાનો ભય વધી ગયો છે. અત્યાર સુધી યુદ્ધ માત્ર ઇઝરાયલ અને હમાસ વચ્ચે હતું. હવે જો ઈરાન આમાં સીધો પ્રવેશ કરશે તો બીજી કેટલીક શક્તિઓ ઈઝરાયેલને સમર્થન આપી શકે છે. આવી પરિસ્થિતિ ગંભીર મુશ્કેલી તરફ દોરી શકે છે. આટલું જ નહીં, કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે જો સંઘર્ષ આમ જ ચાલતો રહ્યો તો પરિસ્થિતિ વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે. આ યુદ્ધમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષનો ડર વધવાના કેટલાક કારણો છે. એક તરફ, માનવામાં આવે છે કે ઈરાન હમાસ અને હિઝબુલ્લાહને સમર્થન આપે છે અને તેમને હથિયારો પણ પૂરા પાડે છે.
ઈરાનનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ
ઈઝરાયેલ સીરિયા અને ઈરાક જેવા દેશોમાં ઈરાનનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાનું કારણ પણ આ જ માનવામાં આવે છે. આ હુમલામાં લેબનોન અને સીરિયામાં ઓપરેશનની જવાબદારી સંભાળતા ઈરાનના કુદ્સ ફોર્સનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો હતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર વિશ્વ પહેલેથી જ ગાઝામાં યુદ્ધને લઈને ચિંતિત છે. ખાસ કરીને મુસ્લિમ દેશોમાં પણ ઈદ નિમિત્તે પેલેસ્ટાઈન માટે નમાજ માંગવામાં આવી હતી અને ઈઝરાયલ વિરોધી દેખાવો થયા હતા. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલાને કારણે અત્યાર સુધીમાં લગભગ 34 હજાર લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો
આ પણ વાંચોઃઅમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે