માતૃત્વ : ભાવિની વસાણી
ઘણી વખત બાળકની ઉંમર ખૂબ નાની હોવા છતાં પતિ-પત્નીને ન બનતું હોય બંને છુટાછેડા લેવા તૈયાર થઈ જતા હોય છે, અથવા તો લઈ લેતા હોય છે. તો તેનાથી વિપરીત કોઈ દંપતીને બનતું ન હોય માત્ર બાળકના સુખ ખાતર સાથે રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં કયું પગલું ખરેખર ઈચ્છનીય હોય છે ? મારા ખ્યાલથી પોતાના સુખને કેન્દ્રમાં રાખીને બાળકની પરવા કર્યા વિના લેવામાં આવેલા બંને પ્રકારના નિર્ણય અયોગ્ય છે. માતા-પિતા બન્યા બાદ બાળકના માનસ પર અસર થાય તે રીતે સાથે રહેવું પણ યોગ્ય નથી અને અલગ થવું પણ યોગ્ય નથી. માટે ખરા અર્થમાં માતા-પિતા બન્યા બાદ દરેક દંપતીએ બાળકના હિતને કેન્દ્રસ્થાનમાં રાખવું જોઈએ. અહીં એક વાર્તા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતું માતા-પિતા તરીકે ખરા અર્થમાં સમજવામાં આવે તો જ આ લખેલું સાર્થક ગણાશે.
‘અનંત’એ તેના નામ મુજબ જો કોઈ બાબત આત્મસાત કરી હોય તો તે કારણ વિનાનો ગુસ્સો… ‘મંજરી’ સાથે લગ્નબાદ સ્વભાવમાં ટૂંકા ગાળામાં પરિવર્તન નહોતું આવ્યું ત્યારે આસપાસના લોકો અને પરિજનો કહેતા હતા કે પિતા બન્યા બાદ જરૂર બદલાઈ જશે. પરંતુ ઈશ્વરની કૃપાથી તેના ઘરે દીકરાનો જન્મ થાય છે. તેનો દીકરો ‘મનન’ ચાર વર્ષનો થઈ ચૂક્યો હોવા છતાં તેની તામસિક પ્રકૃતિમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. મંજરીને ઈશ્વર પર અપાર શ્રદ્ધા હતી. તે પોતાના બાળકને ગર્ભમાંથી જ સારા સંસ્કાર મળે તે માટે પ્રયત્નશીલ રહેતી હતી. દરેક વાર-તહેવારનું મહત્વ ચાર વર્ષના દીકરા મનનને સમજાવવું તેને ખૂબ જ ગમતું.
“હોળી”નો તહેવાર આવ્યો ત્યારે ‘હોલિકા દહન’ પાછળ શું મહત્વ રહેલું છે તે વિશે સમજાવવા માટે ભક્ત પ્રહલાદની વાર્તા દીકરાને અગાઉ કહી હતી. તેને ‘હોલીકાદહન’ અને ‘નૃસિંહ પ્રાગટ્ય’ જેવા દ્રશ્યો દર્શાવતી એનિમેટેડ ફિલ્મ દીકરાને દર્શાવવાની ઈચ્છા થઈ આવી. તે તાત્કાલિક બજારમાં જઈને પૌરાણિક ફિલ્મની ડીવીડી ખરીદી લાવી. અને મનનને ‘બાળપ્રહલાદ’ની ફિલ્મ બતાવી. આ સિવાય ભગવાન વિષ્ણુના દસ અવતાર રજુ કરતી ‘દશાવતાર’ ફિલ્મ પણ દીકરા મનનને બતાવી. આ વાતને છ મહિના થઈ ગયા હશે. મનનને માત્ર એક વખત ફિલ્મ નિહાળ્યા બાદ અને તેની જાદુઈ અસર થઇ હતી. એટલું જ નહીં ભગવાન વિષ્ણુના તમામ અવતારોના નામ તેને યાદ રહી ગયા હતા. એક વખત અનંત તેની પ્રકૃતિ મુજબ કોઈક ઘટના પર પ્રત્યાઘાત આપી મંજરી પર પારાવાર ક્રોધિત થાય છે. અને બાળકની હાજરીમાં મંજરી પર હાથ ઉગામવા જતો હતો. મંજરીને આ બધું ગમતું ન હતું. તે કાયમ અનંતને કહેતી હતી કે બાળકની હાજરીમાં આવું વર્તન ન કરવું. પરંતુ અનંત કોઈ વાત બીજાની દ્રષ્ટિએ સમજે જ નહીં. ચાર વર્ષનો મનન બંને વચ્ચેનો વાર્તાલાપ ક્યારનો સાંભળતો હતો. તેને પપ્પા ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. મનન તેના પપ્પા અનંત દ્વારા મમ્મી મંજરી પર ઉગામવા માટે ઊંચા થયેલા હાથને જોઈને વિચારી રહ્યો હતો… તેની ઊંચાઈ અને ઉંમર મુજબ રોકી તો શકે તેમ તો હતો નહીં, આ વખતે તે પપ્પાને રોકવા માંગે છે… પરંતુ શું બોલવું તે બાળમાનસને ખબર પડતી ન હતી…મનન ત્રાડ પાડીને પપ્પા સામે જોઈને એક નામ ઉચ્ચારે છે… હિરણ્યકશ્યપુ……!
થોડીવાર વાતાવરણમાં સોપો છવાઈ ગયો. બાળકને શું કહેવું? તે જ સમજ પડતી ન હતી અને કહેવા માટે શબ્દો મળતા ન હતા. આ શબ્દ સાંભળ્યા બાદ અનંત ઝગડો પડતો મુકી તેના રુમમાં જતો રહે છે. જ્યારે મંજરીને થાય છે કે પોતે દીકરા મનનને પ્રહલાદની વાર્તા કહી અને સીડી દર્શાવ્યાને તો છ મહિના જેટલો સમય થઈ ગયો. છતાં દીકરા મન-મગજ પર આટલી બધી અસર થઇ છે. આપણને એવું લાગે છે કે બાળક જોવામાં નાનું છે એટલે મગજ થી પણ નાનું હોય છે. પરંતુ એવું હોતું નથી. કેટલાક બાળકો જન્મજાત અદભુત નિરીક્ષણશક્તિ લઈને આવ્યા હોય છે. મંજરીનો એકમાત્ર હેતુ બાળકના ચરિત્રનું ઘડતર સારું થાય તે હતો. ત્યારે બાળકે પિતાને આ શબ્દ ઉચ્ચાર્યો તે અયોગ્ય છે કે યોગ્ય ? અત્યાર સુધી તેની ઉંમર પ્રમાણે તે તમામ પ્રકારના તાલમેલ મુજબ અન્ય બાળકોની જેમ જ વર્તી રહ્યો હતો. અને બાળસહજ રમતો રમી રહ્યો હતો. તો તેની અંદર ગુસ્સો પ્રગટાવનાર વર્તમાન પરિસ્થિતિ જ હોવાનું તારણ મંજરી એ કાઢ્યું, આપણા પુરાણો અને શાસ્ત્રોમાં એ પ્રકારની વાર્તા આવે છે કે જેમા દૈવીગુણો ધરાવતા વ્યક્તિ હોય ઈશ્વર તેના પક્ષે રહે, જ્યારે દાનવ વૃત્તિ ધરાવનારનો ઈશ્વર નાશ કરે. જેની પાછળનો હેતુ એ હોય છે કે તેને સાંભળનારા પોતે પણ સારા ગુણોનું અનુસરણ કરે. એ હિસાબે દીકરો આ રીતે પોતાનો પક્ષ લઇ રહ્યો હતો તેણે તો ખરા અર્થમાં ઈશ્વર જે કરે તે જ કર્યું છે.
મંજરી પોતે મનનને જે તે તહેવારની ઉજવણી પાછળનું મહત્વ સમજાવવા માંગતી હતી. પરંતુ તે ક્યારેય એવું ન હતી ઈચ્છતી કે તેનો બાળક આ રીતે તેના પિતા સામે આ આ પ્રકારે આ શબ્દનું ઉચ્ચારણ કરે, પછી ભલે અનંતનું વર્તન યોગ્ય હોય કે નહીં. અનંતની સાથે એક બાદ એક આવી ઘટનાઓનું પુનરાવર્તન થતાં જોઈ તેને એવું લાગ્યું કે મનનના બાળમાનસ પર ઘણી વિપરીત અસર પડી રહી છે. અનંત દ્વારા થતી ‘ઘરેલુહિંસા’ને પોતે જાહેર કરવા માગતી ન હતી. એટલે શક્ય તેટલો પ્રતિકાર કરી અને અટકાવવાની કોશિશ કરી જોઈ. અને છતા અનંત દ્વારા આ સિલસિલો ચાલુ રહ્યો….એટલું જ નહીં પરંતુ અટકવાનું નામ લઇ રહ્યો ન હતો. અત્યાર સુધી પોતાના માટે દીકરા મનનના સુખ ખાતર પતિ સાથે ઘરસંસારનું ગાડું ગબડાવતી જતી હતી. પરંતુ મંજરીએ હવે અનંતના સુધારવા માટેની આશા છોડી દીધી. અને જે દીકરાના સુખ ખાતર તે પતિ સાથે રહેતી હતી. તે જ દીકરાના બાળમાનસ પર ખરાબ અસર ન પડે તેના માટે આ ઘરમાં ફરી નહીં આવે એવા દ્રઢનિશ્ચય સાથે અનંતને જણાવી રાજીખુશીથી દીકરાને લઈ કાયમ માટે અલગ થવા માટે પિયર જવા નીકળી ગઈ….