જૂનાગઢઃ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદાસ્પદ ટીકાનો વિવાદ શમ્યો નથી ત્યાં ભાજપના વધુ એક નેતાએ બળતામાં ઘી હોમ્યુ હતુ. જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ કિરીટ પટેલે રાજાની પટરાણીઓ અંગે વિવાદિદ નિવેદન આપીને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ હતુ. તેના પગલે ક્ષત્રિય આગેવાનો વધુ ભડક્યા હતા અને કિરીટ પટેલની માફીની માંગ કરી હતી અને પરિસ્થિતિની નાજુકતા જોઈને કિરીટ પટેલે તાત્કાલિક માફી માંગીને વિવાદ થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
આ જોતા એવું જ લાગે છે કે ભાજપના નેતાઓમાં આ નવા જ પ્રકારના ટ્રેન્ડનો પ્રારંભ થયો છે. પહેલા વિવાદ સર્જો, ઘસાતુ બોલો અને વિવાદ ચગે તો માફી માંગી લો. જૂનાગઢના વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની કચેરીના ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે હિંદુસ્તાનમાં એક એવો સમય હતો જ્યારે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય પણ તેની કુખેથી જે છોકરો પેદા થાય તે રાજા બનતો હતો. હવે આ રાજા મતપેટીમાંથી પેદા થાય છે.
કિરીટ પટેલનો આ વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેમનો ભારે વિરોધ થયો. તેના લીધે તેમને માફી પણ માંગવી પડી.ભાજપની પ્રદેશ કચેરી સુધી વાત જતા તેમને ખૂબ જ ખખડાવવામાં આવ્યા. તેમને સ્પષ્ટ શબ્દોમાં માપમાં રહેવા જણાવાઈ દેવાયું હતું. તેની સાથે તેમને તાત્કાલિક માફી માંગવાની સૂચના આપવામાં આવી હતી. તેથી તેમણે માફી માંગી હતી. આના લીધે રાજકીય સમીક્ષકો કહે છે કે ભાજપના આગેવાનો આ જ રીતે બફાટ કરતાં રહેશે તો પીએમ મોદી તેમને ક્યાં સુધી છાવરતા રહેશે.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ