રામરાજ્યની વ્યાખ્યામાં આવતી સગવડો લોકોને આપવાની દિસામાં અમલ અને વરિષ્ઠ નાગરિકોને સરકારી ખર્ચે અયોધ્યાની યાત્રા કરાવવાની જોગવાઈ સાથે દિલ્હીની આપ સરકારે કેન્દ્રના સત્તાધારી પક્ષને તેની ભાષામાં જવાબ આપ્યો
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ગુજરાત સરકારે અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડીલોને સાચા સન્માનવાળો અને માબાપને (વડીલોને) તરછોડનાર પુત્રને સાજા અને દંડ ફટકારતો કાયદો કર્યો તે બાબત આવકાર્ય હતી અને વખાણ કરવા લાયક હતી. ગુજરાતમાં તમામ પ્રકારની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેવે સમયે આ ઘટના આવકાર્ય જ ગણી શકાય. જ્યારે પાટનગર દિલ્હીમાં બે ટર્મથી શાસન કરી રહેલ અરવિંદ કેજરીવાલની સરકારે તેના બજેટમાં કરેલી કેટલીક જાહેરાતને આવકારવી જ પડે તેમ છે. આ બજેટમાં કેજરીવાલે જેને રામરાજ્યની મૂળભુત વાતો સંતો દ્વારા કહેવામાં આવે છે તેવી ઘણી વાત આમા કહેવામાં આવી છે અથવા તો ઉલ્લેખ છે. રામરાજ્ય વિષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જે શમણું હતું તે મુજબ અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે અન્ન, શિક્ષણ, તબીબી સારવાર, વીજળી, પાણી, રોજગાર, ઘર, મહિલા સુરક્ષા, વરિષ્ઠોનો આદર સહિતની બાબતો સાથે અયોધ્યામાં રામમંદિરનું કામ પૂર્ણ થયા બાદ વડીલોને સરકારી કર્ચે રામલલ્લાના દર્શન કરાવવાની યોજનાનો સમાવેશ થાય છે.
મર્યાદિત અને ટાંચા સાધનો તો ઠીક પણ પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો ન હોવા છતાં અરવિંદ કેજરીવાલ એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે તેની વિશ્વભરના અખબારોને નોંધ લેવાની ફરજ પડી છે. અમેરિકાના અને બ્રિટનના બે અખબારોએ પણ ૭૦ સભ્યોવાળી વિધાનસભા ધરાવતી દિલ્હી સરકરાના નિર્ણયની નોંધ લીધી છે. મૂળ આંદોલનમાંથી રાજકારણમાં આવેલા અને અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જે પક્ષનો જન્મ થયો હતો તે આમ આદમી પાર્ટીના નેતાઓ પહેલા તો માત્ર સરકાર પર પ્રહારો જ કરતાં હતાં .૨૦૧૩ની પ્રથમ ચૂંટણી વખતે કેજરીવાલ સહિતના તમામ નેતાઓ મનમોહનસિંહ અને તેમના પ્રધાનો પર પ્રહાર કરતાં હતાં. જો કે તેમણે પોતાની પહેલી સરકાર થોડા સમય માટે તો કોંગ્રેસના ટેકાથી જ ચલાવી હતી. અરવિંદ કેજરીવાલ અને તેના સાથીઓએ પ્રારંભિક તબક્કે દેશમાં ૨૦૦થી વધુ બેઠકો પર લોકસભાની ચૂંટણી લડીને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તેમાં ફાવ્યા નહિ. કેજરીવાલ વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી સામે હાર્યા. જેઓ હાલ રાજકારણથી દૂર છે અને માત્ર સાહિત્યમાં વ્યસ્ત છે તેવા કુમાર વિશ્વાસ અમેઠીમાંથી હાર્યા. આમ આદમી પાર્ટીને ૨૦૧૪ની ચૂંટણીમાં પૂરા ૩ ટકા મત પણ મળ્યા નહોતો છતાં તેના પંજાબમાંથી ચાર સાંસદ ચૂંટાયા હતાં.
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભાજપ-એનડીએએ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠકો જીતી સત્તા કબ્જે કરી ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી. કોંગ્રેસને તો સમ ખાવા પુરતી એક પણ બેઠક ન મળી. તેના ૭૦ પૈકી ૩૮થી વધુ ઉમેદવારોએ તે વખતે અનામત ગુમાવી હતી. જાેકે ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી કેન્દ્ર સરકાર સામે કેજરીવાલ અને તેમના પક્ષના આગેવાનોનું વલણ ઘણું આક્રમક હતું પરંતુ ત્યારબાદ તેમણે કેન્દ્ર સાથે સંઘર્ષના બદલે સહકારનું વલણ અપનાવ્યું અને પોતાના પગલાંથી પોતાનો જનાધાર મજબૂત બનાવવાનું વલણ અપનાવ્યું.
૨૦૧૮માં સંસદની ચૂંટણીમાં તેની તાકાત ઘટી પણ આ પહેલા કોંગ્રેસની બહુમતીવાળી પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ મુખ્ય વિરોધ પક્ષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી કેન્દ્રના સત્તાધારી પક્ષ ભાજપ-અકાલી દળને સાવ પશ્ચાદ ભૂમિકામાં ધકેલી દીધું હતું. ૨૦૨૦માં આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાનોની ફોજ સામે ઝઝૂમીને ફરી ૭૦માંથી ૬૨ બેઠકો સાથે સત્તા કબ્જે કરી. ભાજપને માત્ર આઠ બેઠકો મળી અને કોંગ્રેસ માટે ફરી એકવાર ઝીરો મૂકાવવો પડે તેવી સ્થિતિનું સર્જન કરી દીધું.
૨૦૨૦ના વિજય બાદ કેજરીવાલે દિલ્હી સિવાયના રાજ્યોમાં પગેપેસારો કરવાનો વ્યૂહ ઘડ્યો અને જ્યાં સત્તા નથી ત્યાં માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ નહિ પરંતુ સકારાત્મક વિરોધ પક્ષ તરીકેની નીતિ અપનાવી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ મનમોહનસિંહ સરકારના ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મોરચે નિષ્ફળતા ઉજાગર કરવાની સાથે વિકાસ માટે અને ગુજરાતની જેમ દેશના વિકાસનો મુદ્દો આવરી લઈને મત માગ્યા હતા તેવી જ રીતે આ વખતે પણ આજ મોડલને અમલી બનાવ્યું તે રીતે હવે કેજરીવાલે લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે વિવિધ રાજ્યોમાં ઈમાનદાર અને કામ કરતી સરકારના દિલ્હી મોડલને આગળ ધરીને વિવિધ રાજ્યોમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
જેમાં તેમણે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં સુરતમાં ૨૭ બેઠકો પર અને જિલ્લા પંચાયતોમાં બે તાલુકા પંચાયતોમાં ૩૧ અને નગરપાલિકાઓમાં ૧૨ બેઠકો પર જીત મેળવી ગુજરાતના રાજકારણમાં ગ્રાસરૂટ લેવલ પરથી પ્રવેશ કર્યો છે. આ કોઈ જેવી તેવી સિદ્ધી તો હરગીઝ નથી. હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે પણ યોજાય ત્યારે બધી બેઠકો પર લડવાનો અને ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ના અંત ભાગમાં યોજાનારી ચૂંટણી પણ લડી લેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાનો નિર્ણય કરી લીધો છે. આ કાંઈ જેવી તેવી વાત તો નથી જ. ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં પહેલા પગપેસારો કરી પછી પગ પહોવા કરવાનો વ્યૂહ ઘડ્યો છે.
પહેલા કટ્ટરવાદી પરિબળોએ કેજરીવાલ સામે તૃષ્ટીકરણના આક્ષેપો કર્યા હતા અને પછી દિલ્હીમાં વીજબીલ, પાણીવેરો અને શિક્ષણ વગેરેમાં જે કામગીરી કરી તેની પણ ટીકા કરી હતી અને લોકો મફતની લાલચમાં લોભાઈ ગયા તેવી ટકોર કરી હતી. હવે દિલ્હીના શાસનના રામરાજ્યના સિદ્ધાંતોની માત્ર વાતો નહિ પરંતુ તે પ્રમાણે ચલાવવાની કામગીરી શરૂ કરી છે. માત્ર રામરાજ્યની વાતો નહીં પરંતુ લોકોની વાત સાંભળવાની અને ત્યારબાદ તેનો અમલ કરવાનો અને પછી તે દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે તો દિલ્હીમાં શરૂ થયેલા ખેડૂત આંદોલનને ટેકો પણ આપ્યો છે અને દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલ ખેડૂતોને મદદ પણ કરી છે. અને દિલ્હી વિધાનસભામાં કૃષિકાયદાનો અમલ નહીં થાય તેવો ઠરાવ પણ કર્યો છે. પરંતુ સૌથી મોટી વાત તો તેમણે દિલ્હીના બજેટમાં કરી છે. જેમાં વચ્ર્યુઅલ મોડલ સ્કૂલ તેમની આદર્શ યોજના બની રહી છે અને વડીલો માટે જે યોજના જાહેર કરી છે તે પ્રમાણે રામમંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ દિલ્હીના વરિષ્ઠ નાગરિકોને રામલલ્લાના દર્શન માટે સરકારના ખર્ચે અયોધ્યા લઈ જવાની જાહેરાત કરી છે. હકિકતમાં ભાજપ અત્યારે રામમંદિરના નામે દેશભરમાં રામકાર્ડ ખેલી રહ્યું છે. તેનો તેની જ ભાષામાં જવાબ આપ્યો છે અને સાથોસાથ આમ આદમી પાર્ટી સામે જે રીતે તૃષ્ટિકરણના આક્ષેપો થાય છે તેનો પણ છેદ ઉડાડી દીધો છે.