કચ્છ.
કચ્છના રાપર તાલુકાના ભુટકીયા ગામે હત્યારા પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પરપુરૂષ સાથે આડાસંબંધો થકી પત્નીને સંતાન અવતર્યું હોવાની આશંકામાં પતિએ હત્યા કરી હતી. આ જાલીમ પતિએ ધારીયા વડે પત્નીનું ગળું કાપી નાખ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે આ હત્યાનો બનાવ 28મે 2012નાં રોજ રાપર તાલુકાના ભુટકીયા ગામે બન્યો હતો. આરોપી ભરત મેઘાભાઈ કોલીના કેસર નામની મહિલા સાથે લગ્ન થયાં હતા.
લગ્ન થકી ભરત ત્રણ પુત્રોનો પિતા બન્યો હતો. જો કે, કેસરની કૂખે ચોથો દીકરો જન્મતાં ભરત ખુશ થવાનાં બદલે ચિંતાતુર રહેવા લાગ્યો હતો.
કેસરને પરપુરુષ જોડે આડાસંબંધો થકી આ સંતાન અવતર્યું હોવાની તેને સતત શંકા થયા કરતી હતી. બનાવ અંગે પાંચમા અધિક જિલ્લા અને સેશન્સ જજ ડી.એમ.પંચાલે આજે ભરતને આઈપીસી 302 હેઠલ દોષી ઠેરવી આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે.
આ કેસમાં ફરિયાદી ખુદ ભરતનો પિતા બન્યો હતો. ફરિયાદ પક્ષ વતી મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ ધારદાર દલીલો કરી આરોપીને તક્સીરવાન ઠેરવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કેસમાં 39 સાક્ષીઓ અને 23 દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખી કૉર્ટે આરોપીને દોષી ઠેરવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. ત્યારે આખરે આ હત્યારા પતિને કોર્ટે સજા ફટકારી હતી.