વડોદરા,
વડોદરામાં પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવાર નિમિત્તે નીકળેલી કાવડયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ પણ કાવડયાત્રાને આવકારી સ્વાગત કરતાં કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતું.
શહેરનાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી કાવડયાત્રા વડોદરાનાં રાજમાર્ગો પર ફરી હતી. શહેરની રક્ષા કરતાં નવનાથ મહાદેવોની પ્રદક્ષિણાએ નીકળેલી યાત્રાનાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે શ્રધ્ધાળુઓએ ભગવાન ભોળાનાથનાં દર્શન કર્યા હતાં.
પરંતુ કાવડયાત્રાનું મુખ્ય આકર્ષણ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવેલ સ્વાગત રહ્યું હતું. શહેરનાં ફતેપુરા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને કાવડયાત્રામાં જોડાયેલ સાધુ સંતો તેમજ હિંદુ આગેવાનોને આવકાર્યા હતાં. કોમી એખલાસભર્યા આ વાતાવરણે કોમી એકતાની સુગંધ પ્રસરાવી હતી.