નવી દિલ્હી,
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઓગષ્ટના રોજ ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલજી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા આને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે સોમવારે તેઓના નિધનને ૧૧ દિવસ થયા છે, પરંતુ આ દિવસોમાં દેશ-વિદેશ ૧૩ સ્થળોને અટલ બિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીની ગણના દેશના એક પ્રખર રાજનેતામાં થતી હતી. તેઓના ભાષણના પોતાની પાર્ટી સાથે અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પણ મુરિદ હતા, ત્યારે દેશભરમાં સ્થળોના નામને અટલજીનું નામ આપીને ખાસ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
દેશભરમાં સ્થળોને અટલજીનું નામ આપવામાં ઝારખંડ મોખરે છે. ઝારખંડમાં કુલ ૭ જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૦માં જયારે ઝારખંડ બિહારમાંથી અલગ થયું ત્યારે અટલ બિહારી વાજપેયી દેશના પ્રધાનમંત્રી હતા.
દેશ-વિદેશના આ સ્થળોને અપાયા અટલ બિહારી વાજપેયીના નામ :
૧. નયા રાયપુર :
છત્તીસગઢની રાજધાની નયા રાયપુરની નામ બદલીને અટલનગર કરવામાં આવ્યું છે,. રાજ્યના મુખ્યમંત્રી ડો. રમણ સિંહે આ જાહેરાત કરી હતી.
૨. સાઈબર ટાવર (મોરિશિયસ) :
દેશની સાથે વિદેશમાં પણ અટલજી નામ પર સ્થળોને નામ આપવામાં આવી રહ્યા છે. મોરિશિયસમાં આવેલા સાઈબર ટાવરને અટલ બિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે.
૩. સાબરમતી ઘાટ (ગુજરાત) :
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે, અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા સાબરમતી ઘાટનું નામ હવે “અટલ ઘાટ” કરવામાં આવશે.
૪. પ્લેનેટેરિયમ (અંબાલા) :
હરિયાણાના અંબાલા શહેર સ્થિત બાલભવનમાં નિર્માણ થનારા પ્લેનેટેરિયમને અટલ બિહારી વાજપેયીનું નામ આપવામાં આવશે. શહેરના ધારાસભ્ય અસીમ ગોયલે આ ઘોષણા કરી હતી.
૫. હજરતજંગ ક્રોસિંગ (યુપી) :
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના શાસનમાં લખનઉ નગર નિગમના સભ્યો દ્વારા હજરતજંગ ક્રોસિંગનું નામ બદલીને અટલ બિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત LMC (લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના એક પાર્કને પણ અટલજીનું નામ આપવામાં આવ્યું છે.
૬. ઝારખંડ :
વર્ષ ૨૦૦૦માં બિહારમાંથી છુટા પડેલા ઝારખંડમાં સૌથી વધુ સ્થળોને પૂર્વ પ્રધાનમંત્રીનું નામ આપવામાં આવ્યું છે.
આ સ્થળોને અપાયા અટલ બિહારી વાજપેયીના નામ :
ઝારખંડ ઇનોવેશન લેબ,
એક કોન્વોકેશન સેન્ટર,
પ્રોફેશનલ કોલેજ, જમશેદપુર,
અન્ડર કન્સ્ટ્રકશન એરપોર્ટ,
મેડિકલ કોલેજ, પલામુ,
સાહિબગંજ હાર્બર,
ધનબાદમાં JOE બિલ્ડીંગથી કાકો મઠ સુધીનો રસ્તો,
આ ઉપરાંત NDMCન કાઉન્સીલર દ્વારા પણ રામલીલા મેદાનને અટલ બિહારી વાજપેયીનું નામ આપવા માટે પ્રસ્તાવ રજુ કર્યો છે.
એમ્સમાં અટલજીએ લીધા હતા અંતિમ શ્વાસ
મહત્વનું છે કે, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઓગષ્ટે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલજી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા આને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
ત્યારબાદ તેઓના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો અને પછીથી સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.