ત્રણ દિવસ સ્થગિત રહ્યા બાદ શુક્રવારે અમરનાથ યાત્રા પુનઃ શરુ થઈ ગઈ છે. ત્યારે આ વાર્ષિક અમરનાથ યાત્રા આવતીકાલે એટલે કે 26 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. છેલ્લા 60 દિવસથી અમરનાથ યાત્રા ચાલી રહી હતી. આવતીકાલે છડી મુબારક ની પૂજા બાદ યાત્રાને પૂર્ણ જાહેર કરવામાં આવશે. આવતીકાલે 26 ઓગસ્ટના રોજ તીર્થ સ્થળમાં છડી મુબારક લાવવામાં આવનાર છે. ત્યારબાદ મંદિરમાં અંતિમ પૂજાની સાથે યાત્રાને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવનાર છે.
આ વખતે અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. યાત્રાને ખરાબ હવામાન અને કેટલાક તહેવાર દરમિયાન તેમજ બંધના કારણે સાવચેતીના પગલે કેટલીક વખત બંધ પણ રાખવામાં આવી હતી. જાકે આ વખતે રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અમરનાથ યાત્રામાં જાડાયા.
તંત્રને પણ સફળતા માટે જવાબદાર ગણી શકાય છે. 3 દિવસ સ્થગિત રહ્યા બાદ 137 શ્રદ્ધાળુઓ નો અંતિમ જથ્થો શુક્રવારે જમ્મુ ઘાટી માટે રવાના થયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તીર્થયાત્રિકોનો કાફલો સાત વાહનોમાં સવાર થઈ ભગવતીનગર યાત્રિ નિવાસથી બાલટાલ અને પહલગામ આધાર શિબિરો માટે રવાના થયો છે. જે આવતીકાલે અમરનાથ પહોંચશે. આ વખતે બાલટાલ અને પહેલગામ બન્ને રુટ ખાતે હેલિકોપ્ટરની સેવા પણ ઉપલબ્ધ રહી હતી. 28 જુનના રોજ અમરનાથ યાત્રા શરુ થયા બાદ હજી સુધી 283140 થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા આવતીકાલે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થવાની છે.