જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. બુધવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલમાં બે આતંકીઓને ઢેર કર્યા હતા. આ બંને A+ કેટેગરીના આતંકી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં અલ્તાફ કરચુ પણ સામેલ છે. કરચુ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનો નજીકનો માણસ હતો.
બુધવારે સવારે શરુ થયેલા એન્કાઉન્ટરમાં સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન કરીને બે થી ત્રણ આતંકીઓને ઘેરી લીધાં હતાં. એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ મુનવર્ડ ગામને ઘેરી લીધું અને તપાસ અભિયાન ચલાવ્યું હતું.
આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. જેનો સુરક્ષાદળોએ પણ જવાબ આપ્યો હતો. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખતા વિસ્તારમાં મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.