કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીરે બુધવારે જણાવ્યું કે સનાતન સંસ્થા પર પ્રતિબંધ લગાવવાના સંબંધમાં મહારાષ્ટ્ર સરકારના કોઈ પ્રસ્તાવ વિષે કેન્દ્ર પાસે પૂર્ણ જાણકારી નથી.
આ પહેલા મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રી દીપક કેસરકરે કથિત રૂપે કહ્યું હતું કે રાજ્ય સરકારે સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે કેન્દ્ર સરકાર પાસે એક પ્રસ્તાવ મોકલ્યો છે.
હિન્દુવાદી સંગઠન પર વિપક્ષ કોંગ્રેસ સહીત વિભિન્ન વર્ગો દ્વારા પ્રતિબંધ લગાવવાની માંગ થતી રહી છે. સંગઠન પર પ્રતિબંધ લગાવવા સંબંધી એક સવાલના જવાબમાં આહીરે કહ્યું કે આ રાજ્ય સરકારનો આંતરિક મામલો છે. જે એ મુજબ કાર્યવાહી કરી શકે છે.
એમણે કહ્યું કે કેન્દ્ર સરકાર એ સમયે કોઈ કાર્યવાહી કરે છે, જયારે કોઈ પ્રસ્તાવ મોકલવામાં આવે. અમારી પાસે એવા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી.
જો રાજ્ય સરકાર એવો કોઈ પ્રસ્તાવ મોકલે છે, તો પહેલા એનું ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને પછી આગળ વધારવામાં આવશે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાં મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળના એક સમૂહે એક ઘરમાંથી આઠ દેશી બોમ્બ જપ્ત કર્યા હતા. એટીએસએ આ મામલે કથિત રૂપે સનાતન સંસ્થાના સમર્થક વૈભવ રાઉતની ધરપકડ કરી છે.
સનાતન સંસ્થા સંબંધિત લોકોની વાશી, થાણે, પનવેલ અને ગોવા બ્લાસ્ટમાં ધરપકડ થઇ ચુકી છે.
પ્રગતિશીલ લેખક અને વિચારક નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમએમ કાલબુર્ગી તેમજ વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યાઓમાં સનાતન સંસ્થા સંબંધિત લોકોના નામ સામે આવ્યા હતા.