વિપક્ષી ગઠબંધનના રાજકીય સંગ્રામમાં ભલે કોઈ જાહેર કરાયેલો નહીં હોય પરંતુ એક દિગ્ગજ સર્વમાન્ય સૂત્રધાર જરૂર હશે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર વિપક્ષના મુખ્ય રણનીતિકાર ની મુખ્ય ભૂમિકા ભજવશે. વિપક્ષ વચ્ચે એકતા યથાવત રાખવાની મુખ્ય રણનીતિ સાથે અત્યાર સુધી કોઈ પક્ષનો હિસ્સો નહીં બનેલા ક્ષેત્રિય પક્ષોને સાધવાની જવાબદારી પણ પવાર પર જ હશે. એનડીએ-ભાજપ વિરુદ્ધ વ્યાપક વિપક્ષી કિલ્લેબંધીની જરિયાતને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પણ આગળ આવીને પવારનું સંપૂર્ણ સમર્થન કરી રહી છે.
વિપક્ષની રાજકીય એકતા માટે પવારને જ સૂત્રધાર બનાવવાની રણનીતિથી સ્પષ્ટ છે કે એનસીપી સુપ્રીમો કંઈક એવી જ ભૂમિકા ભજવશે જેવી 2004માં દિગ્ગજ માકપા નેતા હરિકિશસિંહ સુરજીતે નીભાવી હતી. આવનારી લોકસભા ચૂંટણીનું સતત આકલન કરી રહેલી કોંગ્રેસ ક્ષેત્રિય દિગ્ગજો મમતા બેનરજી અને ચંદ્રાબાબુ નાયડુથી લઈને માયાવતી અને અખિલેશ જેવા નેતાઓને જોડી રાખવા માટે પવારના રાજકીય પાવરને દમદાર માની રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ પવાર સાથે તાજેતરમાં અનેક વખત મળીને વિપક્ષી રાજકારણને આગળ વધારવામાં તેમની સક્રિય ભૂમિકા વધારવા માટે અનુરોધ કરી ચૂક્યા છે. આ મુલાકાતોમાં રાહુલ અને પવાર વચ્ચે ગઠબંધનથી લઈને વિપક્ષના વૈકલ્પીક એજન્ડા પર ચર્ચા થઈ રહી છે. ખુદ પવારે બે દિવસ પહેલા એ વાતની સ્પષ્ટતા કરી હતી કે રાહલની તાજેતરમાં જ પવાર સાથે ત્રણ મુલાકાત થઈ હતી અને આ દરમિયાન બન્ને વચ્ચે હળીમળીને કામ કરવાની રણનીતિ ઘડાઈ ચૂકી છે.
ચહેરાને લઈને વિપક્ષી જૂથના પક્ષો વચ્ચે ચૂંટણી પહેલાં સહમતિ સરળ નથી એટલા માટે વિપક્ષે નેતૃત્વનો નિર્ણય ચૂંટણી બાદ કરવાની રણનીતિ નક્કી કરી લીધી છે. સ્પષ્ટ રીતે વિપક્ષને એવા રણનીતિકાર જોઈએ છે જે તેનો ચહેરો ન હોવાની નબળાઈ અને પોતાના રાજકીય દાવપેચની ભરપાઈ કરી શકે. પવાર તેમાં સહજ રીતે સૌથી ફીટ બેસે છે. શરદ પવારના રાષ્ટ્રીય જ નહીં પરંતુ ક્ષેત્રિય પાર્ટીઓના તમામ નેતાઓ સાથે શ્રેષ્ઠ સંબંધો છે.