@નિકુંજ પટેલ
West Bengal News: શાહજહાં ક્યાંય ભાગ્યો નથી. તે અહીં બંગાળમાં જ છે. લોકો કહે છે કે તે બાંગ્લાદેશ ભાગી ગયો છે, તો પછી તેના માટે વકીલની વ્યવસ્થા કોણ કરી રહ્યું છે. સંદેશખાલીમાં પોતાના ઘરની બહાર ઉભેલા શાહજહાંના ભાઈ આલમગીર શેખનું આ કહેવું છે. આલમગીરનું કહેવું છે કે તેનો ભાઈ ક્યાં છે તેની ખબર નથી. જે દિવસે ઈડીના દરોડા પડ્યા હતા ત્યારથી મારી તેની સાથે વાત થઈ નથી. તેનો ફોન સ્વિચ ઓફ છે.
પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ગામ છેલ્લા દોઢ મહિનાથી ચર્ચામાં છે. તેનું કારણ શાહજહાં શેખ નામનો શખ્સ છે. ઉત્તર 24 પરગણાં જીલ્લાના સૌથી વધુ શક્તિશાળી માણસ. શાહજહાં ટીએમસીનો જીલ્લા સ્તરનો નેતા છે. પરંતુ સેન્ટ્રલ એજન્સી ઈડી તેને શોધી રહી છે. પશ્ચિમ બંગાળની પોલીસ પણ તેને શોધી રહી છે. પરંતુ શાહજહાં ક્યાં છે તેની કોઈને ખબર નથી.
5 જાન્યુઆરીના રોજ ઈડીની એક ટીમ રાશન કૌભાંડમાં શાહજહાંના ઘરે દરોડો પાડવા ગઈ હતી. ત્યારે શાહજહાંના સમર્થકોએ તેમની પર હૂમલો કરી દીધો હતો. જેમાં અધિકારીઓને જીવ બચાવીને ભાગવું પડ્યુ હતું. ત્યારબાદ સંદેખાલીમાં મહિલાઓએ શાહજહાં અને તેના સમર્થકો વિરૂધ્ધ વિરોધ કરવાનું શરૂ કરી દીધું. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ મહિલાઓને પાર્ટીની ઓફિસમાં બોલાવીને તેમની પર બળાત્કાર ગુજારતા હતા.
શેખ શાહજહાં
મહિલાઓની ફરિયાદ બાદ પોલીસે શાહજહાંના વિશ્વાસુ ગણાતા શીબુ હાજરા અને ઉત્તમ સરદાર સહિત 18 જણાની ધરપકડ કરી લીધી છે. જોકે શાહજહાં ત્યારથી ફરાર છે. શાહજહાંનો ભાઈ આલમગીર તેનો તમામ કારોબાર સંભાળે છે. કારોબારનો મતલબ સૌથી મોટી ઈંટોના ભઠ્ઠા, વિસ્તારનું સૌથી મોટું બજાર અને માછલીનો વ્યવસાય. આ જ શાહજહાંની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે.
શાહજહાં પર લાગેલા બળાત્કારના આરોપો બાબતે આલમગીરનું કહેવું છે કે આ બધુ ખોટું છે. રાજકીય કાવતરૂ છે. શીબુ હાજરાના ઘરે કોઈ ખાસ પ્રસંગે મહિલાઓને રસોઈ બનાવવા માટે બોલાવવામાં આવતી હતી. ઓફિસે તો ક્યારેય બોલાવી નથી. પશ્ચિમ બંગાળ મહિલા આયોગના રિપોર્ટમાં પણ આ જ બાબત સામે આવી છે. આરોપ લગાવનારી મહિલાઓ સંદેશખાલીની નથી. જ્યારે મીડિયાએ આલમગીરને કહ્યું કે તેઓ આ મહિલાઓના ઘરે ગયા હતા અને તેમને મળ્યા હતા. આ મહિલાઓ અહીંની જ છે. ત્યારે આલમગીરે કહ્યું કે તમને શું ખબર કોણ ક્યાં રહે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં બળાત્કાર અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટની 17 એફઆઈઆર લખવામાં આવી છે. 100થી વધુ ફરિયાદો છે. શાહજહાં શેખ વિરૂધ્ધ ત્રણ એફઆઈઆર દાખલ છે. જેમાં બળાત્કાર, સેક્સયુઅલ હેરેસમેન્ટ અને જમીન પર કબજો કરવાના આરોપ છે. શાહજહાં શેખ ટીએમસી સાથે જોડાયેલો હોવાથી પોલીસ કેમેરા સામે કંઈ પણ બોલવાથી બચી રહ્યા છે. એસીપી રેન્કના એક અધિકારીને પુછવામાં આવ્યું કે શાહજહાં શેખ હજી સુધી પકડાયો કેમ નથી, શું પોલીસ તેના સુધી પહોંચી શકતી નથી ?
જેમાં અધિકારીએ જવાબ આપ્યો કે પોલીસ તેને શોધી રહી છે. તેનો ભાઈ કહે છે કે શાહજહાં શેખ બંગાળમાં જ છે, તેના જવાબમાં અધિકારીએ હસતા હસતા કહ્યું કે બંગાળ નાનું નથી, જ્યારે મળી જશે ત્યારે ધરપકડ કરી લઈશું.
પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમાર 21 ફેબ્રુઆરીએ સંદેશખાલીમાં હતા. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશન અને બાદમાં ડાક બંગલા પર અંદાજે સાત કલાક મિટીંગ કરી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર અને મીડિયાને મળ્યા વિના ચાલ્યા ગયા હતા. ગુરૂવારે કલકતા પરત આવ્યા બાદ ડીજીપીએ કહ્યું કે પોલીસ સંદેખાલીમાં પ્રત્યેક વ્યક્તિની ફરિયાદ સાંભળશે અને દોષી ઠરેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. જો લોકોને ટોર્ચર કરવામાં કોઈ સામેલ હશે, તો અમે તેની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરીશું.
શાહજહાં શેખ વિરૂધ્ધ ચાલી રહેલા વિરોધમાં સંદેશખાલીમાં રહેતા ઉત્પલ દાસ પણ સામેલ થયા હતા. 7 ફેબ્રુઆરીએ ટોળાએ શીબુ હાજરાના પોલ્ટ્રી ફાર્મ અને ફાર્મ હાઉસમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. ઉત્પલ દાસનું કહેવું છે કે મહિલાઓએ જે આરોપો લગાવ્યા છે તેનો એક છેડો પોલીસ સુધી પણ જાય છે. તેમનો સૌથી મોટો આરોપ જ પોલીસ સામે છે.
સંદેશખાલીની એક મહિલાએ શાહજહાં સામે બળાત્કારની કોશિષનો આરોપ લગાવીને એફઆઈઆર દાખલ કરાવી છે. તેનું કહેવું છે કે શાહજહાં અને તેના માણસોની ફરિયાદ કરવા તે ચારથી પાંચ વખત પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યારે મારી વાત કોઈએ સાંભળી ન હતી. એફઆઈઆર દાખલ કરાવવામાં એક મહિલાએ તેને મદદ કરી હતી. સોશિયલ વર્કર પોતાનું નામ ન આપવાની શરતે જણાવે છે કે તમામ મહિલાઓ ખુલીને કહે છે કે બે થી ત્રણ રાત તેમને પાર્ટી ઓફિસમાં રાખવામાં આવતી હતી. ત્યારે ફક્ત સેક્સ્યુઅલ એબ્યુઝ કે છેડતી તો નહી થઈ હોય ને. મહિલાઓ બળાત્કાર કહેતા અચકાય છે. જોકે એફઆઈઆર બળાત્કાર અને ગેંગરેપની છે.
સંદેશખાલીના લોકોનું કહેવું છે કે શીબુ હાજરા અને ઉત્તમ સરદાર શાહજહાનાં એકદમ ખાસ માણસો છે. તેમની ટીમમાં અન્ય છ જણા પણ છે. જે વસુલીથી લઈને લોકોને ડરાવવા અને ધમકાવવાનું કામ કરે છે. આ લોકો પણ પોલીસના કબજામાં છે. તેમની વિરૂધ્ધ પણ એફઆઈઆર થઈ છે. શીબુ અને ઉત્તમ બાદ અભિષેક સિંહનું નામ આવે છે. તેનું કામ વસૂલી કરવાનું અને કટ મની લેવાનું છે. શાહજહાં શેખ માટે ગેરકાયદે પૈસા જમા કરવાની જવાબદારી તેના માથે જ છે. ચોથુ નામ અભિનંદન સિંહ છે જે અભિષેક સિંહનો ભાઈ છે. તેનું કામ લોકોને ડરાવીને જમીનો પર કબજો કરવાનું છે. પાંચમું નામ દેવબંધુ દાસ છે તેનું કામ પોલીટિકલ મેનેજમેન્ટ જોવાનું છે જેમાં ગામની કોઈ વ્યક્તિ બીજી પાર્ટીમાં ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું. બાકીના બે મધુચંદ્રા મંડલ અને શાતનુ બસુ છે. તે બાકીની ટીમોને મદદ કરે છે.
સંદેશખાલીથી ફક્ત 8થી 10 કિલોમીટર દૂર શાહજહાં શેખનો બંગલો છે. તેનાથી પણ આલીશાન તેના બે નાના ભાઈઓના બંગલા છે. નજીકમાં જ ચોથા ભાઈનું ઘર છે. ત્યાંથી 5 કિલોમીટર દૂર સરબેરિયા માર્કેટ છે. જ્યાં શાહજહાંના નામની સૌથી મોટુ શાકભાજી અને માછલીનું બજાર છે. નજીકના ધમાખાલીમાં શાહજહાંના ઈંટોના બે ભઠ્ઠા છે. અહીં કામ કરતા સ્ટાફનું કહેવું છે કે બન્ને ભઠ્ઠામાં ઓછામાં ઓછા બે હજાર લોકો કામ કરે છે. બન્ને ભઠ્ઠા અંદાજે 4 એકર જમીન પર ફેલાયેલા છે. લોકોનું કહેવું છે કે આ તમામ મિલ્કત શાહજહાં શેખે 2011-12માં બનાવી હતી. તે જ સમયે તે મમતા બેનજીની પાર્ટીમાં જોડાયો હતો. શેખ શાહજહાંનું સામ્રાજ્ય આ જ 12 વર્ષમાં બન્યું છે.
ઈડીના દરોડા બાદ એવી માહિતી બહાર આવી હતી કે શાહજહાંએ રાજકારણમાં આવ્યા બાદ અઢળક નાણાં એકઠા કર્યા હતા. પહેલા તે કંડક્ટર અને શાકભાજી વેચવાનું કામ કરતો હતો. તેના ભાઈ આલમગીરને શાહજહાંની પ્રોપર્ટી બાબતે પુછતા તેણે કહ્યું કે મીડિયા ખોટુ જણાવે છે કે અમે છેલ્લા કેટલાક સમયમાં જ પૈસાદાર બન્યા છીએ. અમારી પાસે બાપદાદાની ઘણી જમીન છે. આ જમીન અમારા પિતા આબુ સિદ્દીકીની છે.
ઈડીએ શાહહાંના ઘરે અંદાજે 10 હજાર કરોડના રાશન કૌભાંડ સંદર્ભે દરોડો પાડ્યો હતો. ઈડીનો આરોપ છે કે પશ્ચિમ બંગાળમાં પીડીએસ અંતર્ગત મળતું રાશન માર્કેટમાં વેચી દેવાયું હતું. આ બાબતે આલમગીર કહે છે કે અમારી ચાર પેઢીઓમાંથી કોઈએ રાશનનો ધંધો કર્યો નથી, તો અમે કૌભાંડમાં સામેલ કેવી રીતે થઈ ગયા. વગર રાશને રાશન કૌભાંડ. મારો ભાઈ સંદેશખાલી બ્લોક ટુનો પ્રમુખ છે. આ તમામ આરોપો બ્લોક 1 ના લોકોના છે. ચૂંટણી આવવાની છે માટે બીજી પાર્ટીએ શાહજહાંનું નામ ઉછાળ્યું છે. આ બધુ રાજકીય કાવતરૂ છે, આથી અમારી પાર્ટીનું નામ ખરાબ થાય.
શાહજહાં બાબતે અત્યાર સુધીમાં એટલી જ માહિતી છે કે તેણે અભ્યાસ કર્યો નથી. તે ખેતીની જમીન પર કબજો કરીને માછલીઓ પાળતો હતો. શાહજહાં માછલીઓના ધંધોના જૂનો ખેલાડી છે. તેનું સૌથી પહેલું કામ માછલીનો ધંધો અને બાદમાં ઈંટોના ભઠ્ઠાનું કામ છે. બાદમાં તે રાજકારણમાં આવ્યો હતો. જોકે આલમગીરનું કહેવું છે કે મિડીયા ખોટુ જણાવે છે. તે તો તેને ડ્રાઈવર હોવાનું પણ કહે છે. પરંતુ શાહજહાંએ ક્યારેય કોઈની ગાડી ચલાવી નથી. શાહજહાંના ચાર ભાઈ છે. જેમાં આલમગીર ઉપરાંત સિરાજુદ્દીન અને જહાંગીરનો સમાવેશ થાય છે. આલમગીર તેનો સૌથી નજીક છે. શાહજહાંની ત્રણ દિકરી છે. એક દિકરીના લગ્ન સરબેરીયામાં થયા છે. એક બહેન છે જે સૌથી મોટી છે. તેનો પરિવાર પશ્ચિમ બંગાળની બહાર રહે છે.
સંદેશખાલીની મહિલાઓ શાહજહાં વિરૂધ્ધ દેખાવો કરી રહી છે. તેમનું કહેવું છે કે તે ડોન અને ગુંડો છે. બીજીતરફ ધમાસાલી અને તેની આસપાસના વિસ્તારમાં રહેતો મુસ્લિમ સમુદાય તેને મસીહા માને છે. સંદેશખાલીનો ઉત્તમ દાસ એક લિસ્ટ દર્શાવે છે. જેમાં 63 જણાના નામ છે. દરેક નામની સામે એક રકમ લખેલી છે. અહીંની નદી પર એક ડેમ બન્યો હતો. ડેમ માટે સરકારે પૈસા આપ્યા હતા. પરંતુ શેખના માણસોએ અહીંના લોકોને ડરાવી ધમકાવીને વસુલી કરી હતી. આ લિસ્ટ તેની વસુલીનું જ છે. આ લિસ્ટ હજી લાંબુ થશે. સંદેશખાલીમાં બિલ્ડીંગ બને કે રસ્તા તમામ લોકોને શાહજહાં શેખને કટ મની આપવા પડતા હતા. લોકો પર દબાણ રહેતું હતું કે તેની જ બજારમાં માછલીઓ વેચવામાં આવે.
શાહજહાંના બજારમાં તો લોકો તેના વિશે કંઈ પણ સાંભળવા તૈયાર નથી. કેટલાકનું કહેવું છે કે શાહજહાંએ પૈસા આપ્યા એટલે તેનો ધંધો શરૂ થયો. જોકે સાફિયા મિસ્ત્રી, નજરૂલ અને કમીમુલ્લાહનું કહેવું છે કે શેખ પહેલા ઘણો સારો હતો પરતું જેમ જેમ તેની તાકાત વધી તે ખરાબ થતો ગયો. ધમાસાલીમાં એક પોલીસ કર્મચારીનું કહેવું છે કે શાહજહાંને પકડીને સોંપી દેવાત તો આ બધી માથાકૂટ ખતમ થઈ જાત. શાહજહાંની ધરપકડ એક પાર્ટીને ઝુકાવે છે તો બીજી પાર્ટીને જીતાડે છે. તેને કારણે હજી સુધી તેની ધરપકડનો ઓર્ડર નથી અપાયો. ધીમે ધીમે આ મામલો ઠંડો પડતો જશે.
આ પણ વાંચો:રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી
આ પણ વાંચો:
આ પણ વાંચો: