દિલ્લી,
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પથ્થર ફેકનારા અજાણ્યા શખ્સો પર સેના દ્વારા ગોળીબારી કરવાના મામલે આર્મી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે J & K પોલીસ દ્વારા ૧૦ ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્ય કુમાર સામે એફઆઈઆર કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં મેજર આદિત્ય સામે FIR પર રોક મુકવા માટે આદેશ આપ્યો છે.
સોમવારે FIR પર રોક લગાવવાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે. મેજર આદિત્ય કુમાર પિતા લેફ્ટનન્ટ કર્નલ કરમવીર સિંઘે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજના સન્માનની રક્ષા માટે અને દેશ માટે બલિદાન આપવાવાળા ભારતીય સેનાના જવાનોના મનોબળની રક્ષા થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, મેજર આદિત્ય કુમાર પર FIR થયા બાદ તેઓના પિતા લેફ્ટનન્ટ કર્નલ કરમવીર સિંગે સુપ્રીમ કોર્ટેના દરવાજો ખખડાવ્યો હતો અને સોમવારે આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
શું છે આ મામલો ?
૨૭ જાન્યુઆરીના દિવસે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પથ્થર ફેકનારા લોકો સામે કરવામાં આવેલી સેનાની ફાયરિગમાં બે લોકોના મોત થયા હતા. આ મામલાને લઇ ઘાટીમાં ઉગ્ર વિરોધ-પ્રદર્શન થયું હતું. ત્યારબાદ પથ્થર ફેકનારા સામે ફાયરિંગનો ઓર્ડર આપવાના મેજર આદિત્ય સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જો કે ત્યારબાદ મેજરના પિતાએ મોર્ચો સંભાળ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ આ મામલે તેઓના સેનાના અધિકારી પુત્રને એક આરોપી બનાવીને અણગમી રીતે કામ કરી રહી છે. તેઓ જાણતા હતા કે, તે ઘટનાસ્થળે ઉપસ્થિત ન હતા અને સેના શાંતિપૂર્વક કામ કરી રહી હતી. પરંતુ હિંસક બનેલી ભીડના કારણે તેઓ સરકારી સંપતિને બચાવવા માટે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે મજબુર કર્યા હતા. સેનાઓ આં કાફલો કેન્દ્ર સરકારના આદેશ પર જઈ રહ્યા હતા અને પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા હતા.