ભારતના પર્યાવરણવાદી માધવ ગાડગિલે સરકારને ચેતવણી આપી હતી કે ગોવામાં જો પર્યાવરણની જાળવણી કરવામાં નહિ આવે તો પૂરગ્રસ્ત કેરળ જેવી સ્થિતિ ગોવામાં પણ સર્જાઈ શકે છે.
માધવ ગાડગિલે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની જેમ ગોવામાં પણ લાલચ અને અમર્યાદિત નફા માટે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પર્યાવરણવાદી ગાડગિલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રચેલા જસ્ટિસ એમ. બી. શાહ પંચના અંદાજ મુજબ ગોવામાં ગેરકાયદે ખાણકામ દ્વારા અબજો રુપિયાનો નફો મેળવાય છે.
ગાડગિલએ જણાવ્યું હતું કે પથ્થરની ખાણમાં બહુ જ ઓછું રોકાણ કરીને મોટો નફો મેળવી શકાય છે અને તેથી ખાણકામ ની ગેરકાયદે પ્રવૃત્તિ વધી રહી છે. ગાડગિલે આયર્ન ઓર કંપનીઓના 2011ના એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોટ્ર્સના આધારે ગોવાના પર્યાવરણનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, આયર્ન ઓર કંપનીઓએ પોતાના એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોટ્ર્સમાં ઘણી ખોટી માહિતી આપી હતી.
ગાડગિલે સરકાર દ્વારા રચાયેલી વેસ્ટર્ન ઘાટ્સ ઇકોલોજી એક્સ્પર્ટ પેનલનું નેતૃત્વ કર્યું હતું. પર્યાવરણવાદીઓની આ સમિતિએ 2011માં રજૂ કરેલા અહેવાલમાં કેરળના અનેક વિસ્તારમાં પર્યાવરણને કરાઇ રહેલા નુકસાન સામે ચેતવણી આપી હતી.
આ ઉપરાંત, સમિતિએ ખાણકામ અને ઘાટ પરના પથ્થરો તોડવાની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા પણ સૂચના આપી હતી. 73 વર્ષીય પર્યાવરણવાદી ગાડગિલએ જણાવ્યું હતું કે જસ્ટિસ એમ. બી. શાહ પંચના અહેવાલ મુજબ ગેરકાયદે ખાણકામ દ્વારા રુપિયા 35,000 કરોડનો નફો મેળવાય છે. ખાણકામ ની ગેરકાયદે પ્રવૃિત્ત કરનારા લોકો પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.