માત્ર ૪ માસમાં ૪ સાથીઓ ગુમાવ્યા : ૬ વર્ષમાં કંઈક આવ્યા અને કંઈક ગયા : નીતિશકુમાર – માંઝી એનડીએ છોડ્યા પછી પરત આવ્યા પરંતુ….
દેશમાં ગઠબંધનોનો જમાનો ચાલે છે. યુપીએ હોય કે એનડીએ હોય, તેમાં નવા સાથીઓ ઉમેરાતા રહે છે. તેમ જૂના સાથીઓ છોડતા રહે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પહેલા એનડીએ સાથે હતા. ૨૦૧૩માં એનડીએ છોડ્યું પછી ૨૦૧૫ની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના પક્ષ આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન કરી બિહાર વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ ખરા અને સત્તા પર પણ બેઠા. પરંતુ દોઢ વર્ષમાં તેજસ્વી યાદવ સાથે વાંકુ પડ્યું એટલે પહેલા હોદ્દો છોડ્યો અને પછી ભાજપને ભાગીદાર બનાવી એન.ડી.એ.માં જાેડાયા.
@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી....
લોકસભાની ચૂંટણીમાં જેડીયુના તમામ ૧૭ ઉમેદવાર જીત્યા. વિધાનસભામાં મોટાભાઈ તરીકે બેઠકો વધારે લડ્યા પણ ઓછી બેઠકો પર જીત્યા છતાંય ભાજપ પોતાની રણનીતિના ભાગરૂપે તેમને મુખ્યમંત્રી બનાવ્યા. આ બધી બાબતો વચ્ચે અરૂણાચલમાં જનતાદળ (યુ)ના છ ધારાસભ્યો સાગમટે પાટિયુ બદલી ભાજપમાં જાેડાયા. જનતાદળ (યુ)ના નેતાઓનો એવો આક્ષેપ છે કે ભાજપે તેના સભ્યો તોડ્યા છે. અને જનતાદળ (યુ) હવે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે, ઘણા નિરીક્ષકો એવું પણ માને છે કે નીતિશકુમાર પોતાના સ્વભાવ પ્રમાણે ગઠબંધન પણ બદલી શકે છે.
પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યપ્રધાન મમતા બેનરજી જેમને ચૂંટણીમાં હરાવવા ભાજપે ચૂંટણીનો ચાર માસનો સમય બાકી છે, ત્યાં બધી તાકાત કામે લગાડી દીધી છે. મમતા બેનરજી કોંગ્રેસથી અલગ પડ્યા બાદ તૃણમુલ કોંગ્રેસ બનાવી. પછી એનડીએ સાથે ગઠબંધન કર્યું અને અટલજીની સરકારમાં જાેડાયા ત્યારબાદ એન.ડી.એ. છોડ્યું ૨૦૦૯માં યુપીએના ઘટકપક્ષ બન્યા અને પોતે મનમોહનસિંહની આગેવાની હેઠળની યુપીએ-૨ની સરકારમાં રેલ્વે મંત્રી બન્યા, પછી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે જોડાણ કરી ડાબેરીઓના લગભગ ૩૦ વર્ષના શાસનનો અંત લાવી, પોતે મુખ્યમંત્રી બન્યા હતા.
જો કે ટીએમસીના પ્રતિનિધિ તરીકે પહેલા દિનેશ ત્રિવેદી રેલ્વે મંત્રી બન્યા તેમણે રાજીનામું પણ આપ્યું. તેમના સ્થાને ટીએમસીના બીજા રેલ મંત્રી આવ્યા પણ એફ.ડી.આઈ. અંગેની કેન્દ્રની નિતીના વિરોધમાં તેમણે યુપીની ૨૦૧૩માં યુપીએ છોડ્યું. ૨૦૧૫માં એકલા હાથે ચૂંટણી લડી સરકાર પણ રચી ૨૦૧૯માં તેમની તાકાત ઘટી ગઈ. ૨૦૨૦માં મોટો પડકાર છે, ત્યારે મમતા બેનરજી ક્યા પક્ષ સાથે હાથ મેળવે છે તે જોવાનું રહે છે.
કૃષિ કાયદાના વિરોધમાં પંજાબથી શરૂ થયેલું ખેડૂત આંદોલન દિલ્હી પહોંચી ગયું છે, પરંતુ કૃષિ કાયદો ઘડાયો એટલે તરત જ કેન્દ્ર સૌથી જૂના સાથીદાર અકાલીદળે ભાજપ સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ મુકી દીધું. આજે અકાલીનેતાઓ ત્રીજા મોરચા માટે સક્રિય થયા છે, હવે રાજસ્થાનની લોકતાંત્રિક પાર્ટીએ એન.ડી.એ. સાથે છેડો ફાડ્યો છે. જો કે, સંસદમાં તેના એકમાત્ર સભ્ય છે. અકાલીદળ બાદ પીસી થોમસની આગેવાની હેઠળના પક્ષ કેરળ કોંગ્રેસે એનડીએનો સાથ છોડ્યો હતો. અને આસામમાં બોડોલેન્ડ પીપલ ફ્રન્ટે ભાજપને લટકતી સલામ કરી છે. આમ જૂલાઈથી ડિસેમ્બર સુધીના ત્રણ માસના સમયગાળામાં ચાર પક્ષોએ એનડીએ છોડ્યું છે. અત્યારે એનડીએ પાસે માત્ર ૧૬ પક્ષો રહ્યા છે, જેમાં બિહારના જીતનરામ માઝીનો પક્ષ અને મુકેશ સહાનીની પાર્ટી વીઆઈપી તે એનડીએના નવા ઘટક અને ભાજપના નવા સાથીદાર છે. જો કે આ બેમાંથી કોઈપણ પક્ષનો એક પણ સાંસદ ચૂંટાયેલો નથી, જ્યારે આસામમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આસામમાં પ્રમોદ બોરોની યુનાઈટેડ પીપલ્સ પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, NDAની બીજી ઇનિંગ્સ એટલે કે, દસ વર્ષ સુધી સત્તાનો વનવાસ ભોગવ્યા બાદ એનડીએ ૨૦૧૪માં ફરી સત્તાપર આવ્યો અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્યારે ૨૪ કરતાં વધુ નાના મોટા પક્ષો એનડીએમાં હતા. સૌથી પહેલો સાથ હરિયાણા જનહીત પાર્ટી કે જેના નેતા કુલદીપ બીશ્નોઈ છે તેમણે છોડ્યો. ૨૦૧૪ના વર્ષમાં જ તમિલનાડુના અમુક વિસ્તારમાં અસરકારક વર્ચસ્વ ધરાવતા પક્ષ એમ.ડી.એમ.કેએ કેન્દ્ર તમિલોની વિરુધ્ધમાં કામગીરી કરે છે તેવા આક્ષેપ સાથે એનડીએ છોડ્યું. જ્યારે ૨૦૧૬ના તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા ડીએમકે અને રામદૌસના પીએમકેએ એનડીએ અને ભાજપનો સાથ છોડ્યો હતો. જ્યારે કેરળના ક્રાંતિકારી સમાજવાદી પક્ષે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ સાથેના સંબંધો પૂરા કરી દીધા હતા. ૨૦૧૭માં મહારાષ્ટ્રના સ્વાભિમાન પક્ષનામની પાર્ટીએ મોદી સરકાર ખેડૂત વિરોધ છે તેવા આક્ષેપ સાથે ભાજપને લટકતી સલામ કરી એનડીએમાંથી વિદાય લીધી હતી. જ્યારે નાગાલેન્ડમાં ત્યાંનો પીપલ્સ ફ્રન્ટ અને જીતનરામ માઝીના પક્ષ હમ પણ એનડીએ છોડી ગયા હતા જાે કે ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણી પહેલા માંઝી અને તેમનો પક્ષ એનડીએમાં પાછા ફર્યા હતા.
૨૦૧૮ની સાલમાં એન.ટી. રામારાવના વખતથી સહયોગી રહેલા તેલુગુ દેશમને એનડીએ છોડ્યું હતું. જેનું કારણ એ આપ્યું હતું કે મોદી સરકારે આપેલા વચન મુજબ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જાે આપ્યો નથી. તેઓ જાેકે ભાજપથી અલગ પડીને ફાવ્યા નથી તે પણ હકિકત છે. ૨૦૧૮ની તેલંગણાની ચૂંટણીમાં ટીડીપીએ કોંગ્રેસ સાથે જાેડાણ કર્યું હોવા છતાં તેઓ ટીઆરએસને હરાવી શક્યા નહોતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના જૂના સહયોગી જનમુક્તિ મોરચા અને કર્ણાટકની પ્રજ્ઞાનવર્થા પાર્ટીએ એન.ડી.એ. છોડ્યું હતું ૨૦૧૯ની ચૂંટણી પહેલા મોદી સરકારમાં પ્રધાનપદુ ભોગવી ચૂકેલા ઉપેન્દ્ર કુશવાહાએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા એનડીએને લટકતી સલામ કહી હતી. તેમના પક્ષનું નામ આર.એલ.એસ.પી. છે જાે કે તે બિહારમાં પોતાની તાકાત બતાવી શક્યો નથી. ઉત્તર પ્રદેશમાં ઓમ પ્રકાશ રાજભરના પક્ષ સુહેલ દેવ ભારતીય સમાજ પાર્ટીએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા એનડીએની સાથે યોગી સરકારમાં મળેલું પ્રધાનપદુ પણ છોડી દીધું હતું ૨૦૧૮માં મહેબૂબા મુફ્તી કે જેને જમ્મુ કાશ્મીર સરકારમાં ભાગીદાર બની ચાર વર્ષ સાથે રહ્યા અને આ ગાળામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના મૂળ ઉંડા ગયા અને અલગતાવાદી તત્વો બેફામ બન્યા એટલે ભાજપ પર દબાણ વધતા તેણે મહેબુબા સરકારને ગબડાવી એટલે પીડીપી અલગ પડી જ્યારે ભાજપના અકાલીદળ પછીના બીજા જૂના સહયોગી પક્ષ શિવસેના ભાજપનું ગઠબંધન પણ તૂટી ગયું. અત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસનું બનેલું મહાગઠબંધન શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ સરકાર ચલાવે છે અત્યારે ભાજપ પર પ્રહારો કરવામાં શિવસેના આગળ છે.
શિવસેના સત્તાવાર રીતે યુપીએમાં નથી પણ યુપીએને ટેકો આપતો પક્ષ બની ગયો છે જાે કે તાજેતરમાં સામનામાં આવેલા લેખમાં કોંગ્રેસને નબળો વિપક્ષ ગણાવ્યો ત્યારબાદ મહારાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનોએ પણ એવી સ્પષ્ટતા કરી છે કે શિવસેના સાથેનું ગઠબંધન માત્ર મહારાષ્ટ્ર પૂરતુ મર્યાદિત છે. આમ એનડીએનું કદ ઘટી રહ્યું છે ભલે જનતાદળ (યુ) તેમની સાથે હોય પણ અરૂણાચલના બનાવ બાદ નીતિશકુમારના જેડીયુના સાથીઓ ભાજપથી નારાજ છે તેનો પડઘો ગમે ત્યારે પડી શકે છે. સાથે મજાની વાત એ પણ કહી શકાય કે NDAનાં ઘટતા કદ વચ્ચે પણ દેશમાં ભાજપ કાઠુ કાઢી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…