@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પાકિસ્તાન એક બાજુથી ભારત સાથે સારા સંબંધો રાખવાની અને પડોશી ધર્મ નીભાવવાની વાતો કરે કો’ક વાર કરે છે પરંતુ પાકિસ્તાની શાસકો ભારત સામે ઝેર ઓકવાની તો ઠીક પરંતુ ભારતની આંતરિક બાબતોમાં ઝેર ઓકવાની એકપણ તક જતી કરતાં નથી. તેમાંય ઈમરાનખાને ગાદી સંભાળ્યા પછી લશ્કર અને ચીનની કઠપૂતળીની જેમ નાચે છે અને જાણે કે પાકના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભૂટ્ટો તેના સ્વપ્નમાં રોજ આવતા હોય તેમ નવા નવા સ્વરુપે કાશ્મીરનું ગાણું ગાયે રાખે છે. ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ નષ્ટ કરવાને બદલે આ આતંકવાદીઓને છાવરવાનો ધંધો કરે છે. હવે જાણે કે પોતે કાશ્મીરનો મસીહા હોય તે રીતે ઈમરાનખાન વર્તી રહ્યો છે અને ભારતને વણમાગી સલાહો આપવાનો ધંધો શરૂ કર્યો છે. પાકિસ્તાને ગેરકાયદે કબજે કરેલા કાશ્મીરમાં લોકોની જેમ ત્યાંના શાસકો પણ બગાવતના માર્ગે છે તેવે સમયે પોતાનો અને પોતાના ‘બોસ’ એવા ચીનનો પગદંડો ત્યાં યથાવત રહે તે માટે પ્રયાસો કરવામાં કોઈ કસર આ ચીનના શાસકનો પહેલા ખોળાનો પૂત્ર છોડતાં નથી અને પાકિસ્તાનને ચીનનું ગુલામ બનાવી દીધું હોય તે રીતે વાતો કરી પ્રજાને ભ્રમમાં નાખે છે અને જ્યારે લોકોનો વિરોધ વધી જાય ત્યારે કોઈપણ બીજા શાસકની જેમ લોકોના મનમાં રાષ્ટ્રવાદ તો ઠીક પણ ધર્મનું ઝેર ઘોળવાનો ધંધો કરે છે.
પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળનાં કાશ્મીરમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાના પક્ષ તહરીક-એ ઈન્સાફ માટે રેલીને સંબોધતા ઈમરાને પોતાની જાતને કાશ્મીરના બ્રાંડ એમ્બેસેડર તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ‘જાનમાં કોઈ જાણે નહિ અને વરની ફોઈ હું’ તેવી ગુજરાતી કહેવાત મુજબ આ પૂર્વે ક્રિકેટર કાશ્મીરીઓના હીતની વાતો કરે છે. પાકિસ્તાનની પ્રજા ભૂખમરાના ચક્કરમાં છે પાકિસ્તાન પર કરોડોનું દેવું છે તેની ચીંતા કરવાને બદલે આ ચીનની અને પાકિસ્તાનની કઠપૂતળી બનીને નાચતો શાસક ભારતની અને કાશ્મીરની આંતરિક બાબતોમાં માથું મારવાના ધંધા કરે છે.
ઉઝબેકીસ્તાનમાં ચાલી રહેલા મધ્ય દક્ષિણ એશિયા કોન્ફરન્સમાં જ્યારે ઈમરાનખાનને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું આતંકવાદ અંગે વાટાઘાટો સાથે થઈ શકે છે? તે વખતે ઈમરાનખાને કહ્યું કે, ભારત સંસ્કારી પાડોશી બને તેની અમે રાહ જોઈ રહ્યા છીએ પરંતુ શું કરીએ તેમાં આર.એસ.એસ.ની વિચારધારા વચ્ચે આવે છે. જ્યારે ૧૭મી જૂલાઈએ પીઓકેના બાઘ વિસ્તારમાં જાહેર સભાને સંબોધતા ભાજપ અને સંઘની વિચારધારા ભારત માટે સૌથી મોટો ખતરો છે અને આ વિચાર ધારા ભારતમાં વસતા લઘુમતી સમાજ માટે ખતરારુપ છે. ઈમરાનને હવે એક જ વાત કહેવાનું મન થાય છે કે, પાકિસ્તાનની પ્રજાના મનમાં ભારત વિરોધી ઝેર ઘોળવાનો ધંધો બંધ કરે પાકિસ્તાનમાં વસતા સ્થાયી થયેલા અને મદદ મેળવતા ભારતે જેને ફરાર જાહેર કરેલા છે આતંકવાદી જાહેર કર્યા છે અને જેમાંના અમૂકને તો યુનો સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અમેરિકાએ પણ જેને આતંકવાદી જાહેર કર્યા છે તેવા તત્વોને દબોચી ભારતને સોંપવાને બદલે આવી પગ માથા વગરની વાતો કરવાનું બંધ કરે.
ભારતે પાકિસ્તાનને કોરોનાની વેક્સિન પણ મફતમાં આપી પોતાનો પાડોશી ધર્મ બજાવ્યો જ છે. ભારત તો હંમેશા સંસ્કારી પાડોશી તરીકે વર્તે છે. ભારતના શાસકો ભલે ગમે તે હોય પણ પાકિસ્તાન સાથે ભારતીય સંસ્કૃતિના વારસા સમાન સંસ્કાર સાથે વર્તન કર્યુ છે. પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ કરી નથી. સરહદ પર પણ જ્યારે પાકિસ્તાની સેના છમકલા કરે ત્યારે જ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનની એક ઇંચ પણ જમીન હડપ કરી નથી હકિકતમાં આ ભારતના સંસ્કાર અને સંસ્કૃતિનું પરિણામ છે. પરંતુ ભારતના સંસ્કારને-સલુકાઈને અને સદગૂણને નબળાઈ સમજી બેઠેલું પાકિસ્તાન હંમેશા ભારત સામે ઝેર ઓકવાનો ધંધો કરે છે. પોતાના લોકોની ચીંતા કરવાને બદલે ભારતના એક સમાજની અને કાશ્મીરની ચીંતા કરવાનું પસંદ કરે છે. હકિકતમાં બીજા પાકિસ્તાની શાસકો કરતા પણ ઈમરાને વધુ પ્રમાણમાં સંસ્કારિતાને લજવી છે.
ભારતનું સ્પષ્ટ વલણ છે કે, આતંકવાદને આશ્રય અને ટેકો આપવાનું બંધ થાય પછી જ પાકિસ્તાની શાસકો સાથે વાટાઘાટો થશે. ભારતના આ યોગ્ય વલણને પાકિસ્તાન ભારતના શાસક પક્ષ અને સંઘની વિચારધારા સાથે સાંકળવાનો પ્રયાસ કરે છે. સંઘની કામગીરીની આ વાસ્તવિક્તા અને બુદ્ધીના બ્રહ્મચારી એવા ઈમરાનને ક્યાંથી ખબર પડે? સામાજિક સેવા અને રાષ્ટ્રવાદ એ સંઘનો પાયો છે તેની આ નફ્ફટાઈની હદ વટાવી રહેલા પાકિસ્તાની શાસકને ક્યાંથી ખ્યાલ હોય? સંઘની વિચાર ધારા એ ભારતનો આંતરિક પ્રશ્ન છે ૩૭૦મી કલમ રાખવી કે કાઢી નાખવી એ ભારતનો પોતાનો મામલો છે. કારણ કે જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે હતું અને રહેશે. ભારતના સંરક્ષણ વિશ્ર્લેષકો અને વિદેશી બાબતો અંગેના નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે, પીઓકે પણ જમ્મુ કાશ્મીર અને ભારતનો ભાગ છે તે વાત સમજવી પડશે. કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબૂદીના ઠરાવ વખતે ગૃહમંત્રી અમીત શાહે પણ કહેલું કે હું જમ્મુ કાશ્મીર કહું છું ત્યારે તેમાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ તેમાં આવી જાય છે. ભારતમાં ભૂતકાળના શાસકોએ પણ એકથી વધુ વખત કહેલું છે કે, પાકિસ્તાન સાથે કાશ્મીર પ્રશ્ર્ને વાટાઘાટોમાં પીઓકે એ ભારતનો જ ભાગ છે તે મુદો સાંકળવામાં આવે તો જ વાતચીત થાય. મહેબુબા મુફતી અને ડો.ફારૂક અબ્દુલ્લા ઉંમર અબ્દુલ્લા જેવા જમ્મુ કાશ્મીરના કેટલાક નાના મગજ વગરના નેતાએ અને કોંગ્રેસમાં રહેલા જોકર જેવા દિગ્વિજયસિંહ જેવા નેતાઓ ૩૭૦મી કલમ હટાવવાની બાબતનો વિરોધ કરે છે પણ આ તેની ભાજપ સરકાર સામેની વૈચારિક લડાઈના ભાગરુપે છે ઈમરાન કે પાકિસ્તાનના કોઈ આગેવાને હરખાવાની જરુર નથી. પરંતુ ભારતે જમ્મુ કાશ્મીરમાં શું કરવું એ ભારતનો અધિકાર છે તે માટે ભારતને વણમાગી સલાહ આપવાની જરુરત નથી.
ભારતે ૧૯૬૫ અને ૧૯૭૧માં બરાબર ખોખરુ કર્યુ છે તેની કળ હજી સુધી વળી નથી. સિંઘ પ્રાંત અને બલુચીસ્તાનમાં પાકિસ્તાન પોતાની પ્રજાના વિરોધ સામે બરાબર ઘેરાયેલું છે. પાકિસ્તાનમાં તમામ વિપક્ષો એક મંચ પર આુવી ઈમરાનના કુશાસન સામે મેદાને પડ્યા છે. તો બીજી બાજુ આતંકવાદની ફેક્ટરી સમાન પાકિસ્તાન એકલું અટુલું પડી ગયું છે. એફ.એ ટી એફ સંસ્થાએ હજી પાકિસ્તાનની ‘ગ્રે’ સિસ્ટમાંજ રાખ્યું છે આતંકવાદીઓને પોષવાનો તેનો ધંધો ચાલું રહેશે તોે કદાચ આવતા દિવસોમાં આંતરરાષ્ટ્રીય મોરચે બ્લેક લિસ્ટમાં પણ આવી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તેવે સમયે પાકિસ્તાની શાસક આ બધી દાઝ ભારત વિરોધી ઝેર ઓકીને ભારતના સત્તાધારી પક્ષ પર પ્રહારો કરીને ઉતારી તે વાત જ સૂચવે છે કે, પાકિસ્તાની શાસકોના સંસ્કાર (કે કુસંસ્કાર) કેવા છે? કોઈ પણ સંસ્કારી પાડોશી આવુ વર્તન કરે નહિ તે વાત ઈમરાનની ટોળકીએ સમજવી પડશે.