ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલનો અધિકાર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન આમાં સતત અવરોધો મૂકી રહ્યું હતું. હવે પાડોશી દેશે આ મામલે યુ-ટર્ન લીધો છે. સંસદની સંયુક્ત બેઠકે એક બિલ પસાર કર્યું છે, જે મુજબ જાધવને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર અપીલ કરવાનો અધિકાર મળશે. ભારત આના પર સતત દબાણ કરી રહ્યું હતું.
પાકિસ્તાનની એક કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી છે. તેમને આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો હતો, જેનો ભારતે સતત વિરોધ કરી રહ્યું હતું.51 વર્ષીય ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી જાધવને એપ્રિલ 2017માં પાકિસ્તાનની લશ્કરી અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસ અને મૃત્યુદંડની સજાના પાકિસ્તાનના ઇનકારને પડકારતી ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)નો સંપર્ક કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ICJએ જુલાઈ 2019માં ચુકાદો આપ્યો હતો.
હેગમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે તેના જુલાઈ 2019ના નિર્ણયમાં પાકિસ્તાનને જાધવને દોષિત ઠેરવવા અને સજા કરવાના તેના નિર્ણયની અસરકારક રીતે સમીક્ષા કરવા અને પુનર્વિચાર કરવા જણાવ્યું હતું. આ સાથે જ કોર્ટે ભારતને વિલંબ કર્યા વિના જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો.