@અમિત રૂપાપરા
મહાભારતના યુદ્ધ સમયે ગાંડીવધારી અર્જુન ધર્મ અને અધર્મના યુદ્ધમાં પોતાની સામે પોતાના જ સગા સંબંધીઓને જોઈને વિચલિત થઈ ગયો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રણ મેદાનમાં જ અર્જુનને શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને ત્યારબાદ મહાભારતનું યુદ્ધ થયું અને ધર્મનો વિજય થયો હતો.
ધર્મના વિજય માટે અર્જુનને શ્રીમદ ભગવત ગીતામાંથી પ્રોત્સાહન મળ્યું હતું અને વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ નાની-નાની મુશ્કેલીઓથી વિચલિત થઈ જતા હોય છે. તેવા બાળકો તમામ પડકારોને ઝીલી શકે એટલા માટે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 114 નંબરની સંત ડોંગરેજી મહારાજ શાળાના આચાર્ય દ્વારા શ્રીમદ ભગવત ગીતાના પાઠ ભણાવવામાં આવે છે.
શાળામાં અભ્યાસ કરતા 705 જેટલા વિદ્યાર્થીઓ હાલ વેકેશનનો માહોલ હોવા છતાં પણ પ્રતિદિન બેથી ત્રણ કલાક જેટલો સમય શ્રીમદ ભગવત ગીતાના પાઠ શીખવા માટે ઝૂમ પર શાળાના આચાર્ય નરેશકુમાર મહેતા સાથે જોડાય છે. ધોરણ 3થી લઇ 10 સુધીના વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવત ગીતાના પાઠ પ્રતિદિન શીખે છે. અને શાળાના આચાર્ય સંસ્કૃત ભાષામાં લખેલા શ્લોકોને સરળ ગુજરાતી શબ્દોમાં ભાષાંતર કરીને વિદ્યાર્થીઓને સમજાય તે રીતે તેમને શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન આપે છે.
એવું કહેવાય છે કે, દરેક સમસ્યાનું નિરાકરણ શ્રીમદ ભગવત ગીતામાં છે અને મનથી હતાશ થયેલા વ્યક્તિને શ્રીમદ ભગવત ગીતા જીવન જીવવા માટેની રાહ બતાવે છે. ત્યારે વર્તમાન સમયમાં વિદ્યાર્થી પણ માનસિક તણાવ તણાવ સહિત કોઈને કોઈ સમસ્યાના જોવા મળે છે. એટલા માટે વિદ્યાર્થીઓ હતાશ ન થાય અને કોઈ પણ મુશ્કેલી સામે અડીખમ ઊભા રહી તેનો સામનો કરી શકે એટલા માટે સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશકુમાર મહેતા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના પાઠ શીખવે છે.
વેકેશનમાં શાળાના શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 114 નંબરની સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશકુમાર મહેતા વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી આવી શકે અને તેઓ જીવનમાં કોઈપણ મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકે એ માટે ભગવત ગીતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપે છે અને પોતાનો વેકેશનનો સમય પણ વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ ખર્ચી નાખે છે.
શાળાના આચાર્ય નરેશકુમાર મહેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગત વર્ષે વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે શ્રીમદ ભગવત ગીતાના પાઠ ભણાવવામાં આવતા હતા એટલે કે, શ્લોક સમજાવવામાં અને બોલાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ ભગવત ગીતાના શ્લોક સમજ્યા પછી ખૂબ શિસ્તમાં રહેતા હતા ઘણા વિદ્યાર્થીઓની યાદશક્તિમાં પણ વધારો થયો હતો અને એટલા જ માટે આ વર્ષે વેકેશન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના શ્લોક શીખવવામાં આવી રહ્યા છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને પણ વિદ્યાર્થીઓને અત્યારથી જ શ્રીમદ્ ભગવત ગીતાનું જ્ઞાન હશે તો ભવિષ્યમાં ભગવત ગીતાને સમજવામાં મુશ્કેલી નહીં પડે.
આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત
આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા
આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર