રાજકોટમાં એક સફાઈ કર્મચારીનો અકસ્માત થતા મોત નિપજ્યુ છે. રાજકોટના રૈયા ડ્રેનેજ ડેપો, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે. જેમાં વાલ્મીકી સમાજના એક સફાઈ કર્મચારીનું અકસ્માતમાં મોત નિપજતા વાલ્મીકી સમાજના લોકો રોષ વ્યક્ત કર્યા હતા.
સાથે તેમને મનપા દ્વાર યોગ્ય ન્યાય અને મૃતકના પરિવારના સભ્યને મનપામાં નોકરી અથવા યોગ્ય ધન રાશિની માંગણી કરી હતી. સાથે જ વાલ્મીકી સમાજ દ્વારા માંગ પૂર્ણ નહિ થાય તો ઉગ્ર અંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
શહેરના રૈયાધાર વિસ્તારમાં સફાઇ કર્મચારીને મહાનગરપાલિકાની વાને ચગદી નાખતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેને લઇને પોલીસ દોડી ગઇ હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવને લઇને વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ટીપરવાનના ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવા છતાં નોકરી પર રાખવામાં આવ્યો હતો. મનપાની બેદરકારીને કારણે મોત નીપજ્યાના આક્ષેપો થઇ રહ્યા છે.
સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, સફાઇ કર્મચારી દીવાલ પાસે ઉભો છે ત્યારે ટીપરવાનનો ચાલક રિવર્સ ગાડી લે છે. આથી સફાઇ કર્મચારીનું દીવાલ સાથે જ દબાઇ જાય છે. બાદમાં ટીપરવાન આગળ લેતા સફાઇ કર્મચારી ત્યાં જ ઢળી પડે છે. પોલીસે ટીપરવાનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.