મુંબઇ,
રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ જાહેર ક્ષેત્રની બેંકો માટે સરકારની નીતિઓ પર આડકતરા સવાલો ઉઠાવતા કહ્યું છે, કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે રિઝર્વ બેંકને વધુ સ્વતંત્રતા આપવાની જરૂર છે.એક કાર્યક્રમમાં ભાષણ આપતાં વિરલ આચાર્યએ કહ્યું કે રીઝર્વ બેંકની સ્વતંત્રતાને નજરઅંદાજ કરવો તે વિનાશકારી સાબિત થઇ શકે છે.
મુંબઇમાં એ.ડી. શ્રોફ મેમોરિયલ લેક્ટરના એક સમારંભમાં વિરલ આચાર્યએ રીઝર્વ બેન્કની આઝાદીને નબળી પાડતી ઘટનાઓને વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે નાણાંકીય વ્યવસ્થાને અસર કરતાં મહત્વના મુદ્દાઓ અંગે કેન્દ્રની સીધી કે આડકતરી દખલગીરીથી રીઝર્વ બેન્કના સંચાલને અસર કરે છે અને તેનાથી નાણાકીય વ્યવસ્થાપન વધુ મુશ્કેલ બને છે.
વિરલ આચાર્યએ જણાવ્યું કે, રીઝર્વ બેંકની સૌથી મોટી કાયદાકીય મર્યાદા એ છે કે જાહેર ક્ષેત્રની બેંકો સામે કાર્યવાહી નથી કરી શકતી.આર્થિક સ્ટેબિલીટી માટે રીઝર્વ બેંકની સ્વાયતત્તા વધારવી જોઇએ.રીઝર્વ બેંકને પબ્લીક સેક્ટર બેંકો પર સુપરવીઝનના વધુ પાવર આપવા જોઇએ.
ડેપ્યુટી ગવર્નરનું આ સ્ટેટમેન્ટ એવા સમયે સામે આવ્યું છે જ્યારે સરકાર પેમેન્ટ સિસ્ટમ માટે એક અલગ માળખું ઉભુ કરવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે.
આ સિવાય એસેટ ક્વોલિફિકેશનના નિયમો હળવા કરવા માટે સતત થઇ રહેલાં સરકારી દબાણ પર વિરલ આર્ચાયએ કહ્યું કે આરબીઆઇ પર એવું દબાણ લાવવામાં આવે છે કે કેટલીક બેંકોના લેન્ડિંગ નિયમોમાં ઢીલ આપવામાં આવે,જો કે આ બેંકોનો કેપીટલ બેઝ ઘણો નબળો છે.આવા સંજોગોમાં રીઝર્વ બેંકની સ્વતંત્રતાને નજરઅંદાઝ કરવી તે દેશના અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થઇ શકે છે.