લોકપ્રતિનિધિઓ લોકોના વિશ્વાસનું ઋણ ચૂકવવાની કાયમી પ્રથા પાડે તો ?
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
તાજેતરમાં એક અખબારી અહેવાલ એ સોશ્યલ મિડિયામાં ફરતા મેસેજ પ્રમાણે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ એવું કહ્યું કે દેશને જરૂર હશે તો પોતે પોતાની તમામ સંપત્તિ દેશમાં દેવા તૈયાર છે. અત્રે એ પણ યાદ રાખવું જરૂરી છે કે રતન ટાટાએ અત્યાર સુધીમાં રૂા. ૧૫૦૦ કરોડની સખાવત કરી ચૂક્યા છે. કોરોના હોય કે ગમે તે બાબત હોય તેમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓનું મોટું યોગદાન છે. આ સમાજ માટે એવી પણ છાપ છે અને ઘણા વિશ્લેષકોએ લખ્યું છે કે આ લોકો પોતાના માટે નહિં પણ રાષ્ટ્ર માટે જીવે છે. આ એક ઉદ્યોગપતિ છે. અંબાણી અને અદાણી પરિવાર કોરોના કાળમાં ઘણા સ્થળે લોકો માટેની કામગીરીમાં ઉપયોગી પણ થયા છે.
લોકસાહિત્યકારો કહે છે કે કોણ કેટલું કમાય તે મહત્ત્વનું નથી, દેશ માટે કે છેવાડાના માનવી માટે કેટલું વાપરે છે તે મહત્ત્વનું છે. પાકિસ્તાન સામેના યુદ્ધ સમયે પોતાના આશ્રમની હરરાજી કરી સંરક્ષણ માટે દાન કરનાર પૂ. બજરંગદાસ બાપા (બાપા સીતારામ) પણ રાષ્ટ્રપ્રેમનું જવલંત ઉદાહરણ હતા. પૂ. મોરારીબાપુ પણ રાષ્ટ્ર, રામ અને નાની મોટી દૂર્ઘટના માટે હંમેશા પોતાનાથી બનતી મદદ અને તે પણ એમ કહીને કે તુલસીપત્ર આપું છું.
થોડા સમય પહેલા ગુજરાતના પ્રધાનમંડળે ધારાસભ્યોને એક કરોડથી વધુ ગ્રાંટ ફાળવી અને આ ગ્રાંટની ૫૦ ટકા રકમ કોરોનાના સામના માટે જરૂરી મેડિકલ સાધનો ખરીદવા માટે આદેશ પણ કર્યો. જે મુજબ ઘણા ધારાસભ્યોએ કામગીરી શરૂ કરી છે. કોરોના માટે થઈને સાંસદોએ પહેલી લહેર વખતે ૩૦ ટકા પગારકાપ પણ મૂકાયો હતો. તાજેતરમાં રાજકોટના ચાર કોંગ્રેસી કોર્પોરેટરોે કોરોના માટે પોતાને મળતી ગ્રાંટ ફાળવી દીધી. ભાજપના ૬૮ કોર્પોરેટરો મોડા જાગ્યા. જાે કે આપણે નગરસેવકો વગેરેની વાત નથી કરવી.
સંસદના બંને ગૃહોના મળી ૮૦૦ આસપાસ સભ્યો છે. જ્યારે રાજ્યની વિધાનસભાઓમાં અંદાજે ૪૦૦૦ સભ્યો છે. હવે આ લોકપ્રતિનિધિઓ પૈકી ૬૦૦ સંસદસભ્યો કરોડપતિની વ્યાખ્યામાં આવે છે જ્યારે ૪૦૦૦થી વધુ ધારાસભ્યો પૈકી ૩૦૦૦ જેટલા કરોડપતિ કે લાખોપતિની વ્યાખ્યામાં આવે છે. આ તો સત્તાવાર આંકડા અને અંદાજ છે પરંતુ કદાચ આનાથી વધુ સંખ્યા અને વધુ આવક ધરાવનારા સાંસદો પણ હોઈ શકે છે.
હવે કોઈ લોકપ્રતિનિધિ પોતાનો પગાર લોકોને અર્પણ કરે તેવું નથી કહેવું. દિલ્હીથી માંડી યુપી સુધી તમામ રાજ્યોના ધારાસભ્યોને મળતા પગારભથ્થા સવા લાખને વટાવી જાય છે જ્યારે સાંસદોને મળતો પગાર આના કરતાં ઘણો વધારે છે. આ એક હકિકત છે. હવે ૮૦૦ પૈકી ૬૫૦ સાંસદો કોરોના કે તેના જેવી કોઈ આપત્તિ આવે ત્યારે વધુ નહિ પણ માત્ર ૧ લાખ રૂપિયાનું દાન કરે તો આ રકમ ૬૫૦ લાખ એટલે કે ૬.૫ કરોડ રૂપિયા થાય. જ્યારે ધારાસભ્યો પૈકી માત્ર ૩૨૦૦ ધારાસભ્યો કુદરતી કે કોરોના જેવી આફતના સામના માટે ફંડ ઉભુ કરવા માટે ૧-૧ લાખ રૂપિયા આપે તો આ મહાનુભાવોના યોગદાનનો આંક ૩૨૦૦ લાખ થાય. ૩૨૦૦ લાખ એટલે ૩૨ કરોડ થાય. હવે આ મહાનુભાવો પોતાની સ્થિતિ પ્રમાણે પોતાનું સત્ર પુર્ણ થાય ત્યાં સુધી આ રીતે રાષ્ટ્ર માટે આર્થિક યોગદાન આપવાનું ચાલુ રાખે તો ધારાસભ્યોના ૩૨૦૦ લાખ અને સંસદસભ્યોના પ્રતિ વર્ષ ૬૫૦ લાખના યોગદાન સાથે પ્રતિવર્ષ ૩૮૫૦ વર્ષના ૧૯૨૫૦ લાખ એટલે કે ૧ અબજ ૯૨ કરોડ અને ૫૦ લાખ થાય. આ યોગદાન દેશને કોઈપણ આપત્તિ માટે ઉપયોગી બની શકે. સંસદસભ્યો કે ધારાસભ્યે પોતાને મળતા વિકાસ માટેની ગ્રાંટમાંથી આવી રકમ ફાળવે તે સારી વાત છે પણ આ રકમ તો તેની પોતાની અંગત તો નથી અને વ્યક્તિગત નથી. આ બાબત તો લોકો પાસેથી આવતા વેરામાંથી આ રકમની જાેગવાઈ હોય છે. બજેટમાં ઉલ્લેખ હોય છે. આ તો પોતાને લોકપ્રતિનિધિ તરીકે મળેલા અધિકાર મુજબની વાત છે. જ્યારે લોકપ્રતિનિધિઓ અને તેમાંય પહોંચતા પામતા લોકપ્રતિનિધિઓ જાે આવી સખાવત કરે તો તેમના માટે તો કાનખજૂરાના ટાંગા સમાન યોગદાન પૂરવાર થાય તેમ છે.
આ પણ એક વાસ્તવિક ચિત્ર છે. ઉદ્યોગપતિ પોતાનું યોગદાન પોતાની સ્ટાઈલ પ્રમાણે આપતા હોય છે. બીજાઓ તેમની રીતે આપે છે. જ્યારે લોકોએ ચૂંટેલા લોકપ્રતિનિધિઓ લોકોએ તેમના મૂકેલા વિશ્વાસનું ઋણ ચૂકવવા જાે પહેલ કરે તેમ નહિ પણ કાયમી પ્રથા પાડે તો દેશની સરકારને આપત્તિ વખતે કોઈ વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ પાસે નાણા માગવાનો વારો ન આવે.
જાે કે ૧૯૪૭ થી સામાન્ય રકમ સાથે અથવા તો તે રકમના અને સમયાંતરે લોકપ્રતિનિધિઓના બદલાતા પગારધોરણ પ્રમાણે જાે લોકપ્રતિનિધિ ફંડ ઉભુ કરીને તેમાં આવું યોગદાન આપ્યું હોત તો દેશની આર્થિક સ્થિતિ જુદી હોત. જાે કે ભલે આઝાદીને ૭૪ વર્ષ થઈ ગયા. હજી પણ આ અંગે જરા પણ મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવારની જેમ અત્યારે પણ આ પરંપરા પાડે અને તેને લોકોના વિશ્વાસનું ઋણચૂકવવાના કાયમી અવસરનું નામ આપે તો દેશ આત્મનિર્ભરતા અને સ્વાવલંબનના ધ્યેય સાથે કોઈ પણ પડકારોનો સામનો કરવા સજ્જ બની શકે તેમ છે.