@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ- અમદાવાદ
રાજ્યસભાનો રણટંકાર – ભાજપે જાહેર કર્યા બે ઉમેદવાર
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઇ છે.ભારતીય જનતા પાર્ટીએ રામભાઇ મોકરિયા અને દિનેશભાઇ પ્રજાપતિને ભાજપ તરફથી ચૂંટણીનાં ઉમેદવાર તરીકે નામ ઘોષિત કર્યા છે.આગામી પહેલી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા બે ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અગાઉ અભય ભારદ્વાજ અને અહેમદ પટેલનાં નિધન બાદ બે બેઠકો ખાલી પડી હતી જેને લઇને ગત ચાર ફેબ્રુઆરીએ ચૂંટણી તારીખની જાહેરાત કરાઇ હતી.બંને બેઠકો પર અલગ અલગ મતદાન થવાનું હોવાથી વિધાનસભામાં ધારાસભ્યોનાં સંખ્યાબળને જોતા ભાજપ બંને બેઠક પર સરળતાથી જીત મેળવી શકે તેવા એંધાણ છે.
જાણી લો ભાજપનાં ઉમેદવાર – રામભાઇ મોકરિયાનો સંક્ષિપ્ત પરિચય
રાજ્યસભાનાં ઉમેદવાર તરીકે મૂળ પોરબંદરનાં અને હાલ રાજ્કોટ સ્થિત થયેલાં રામભાઇ મોકરિયાને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે.1.6.1957માં જન્મેલા રામભાઇ પોરબંદરનાં ઘેડ પંથકનાં ભોળ ગામનાં વતની છે.રામભાઇ કોલેજકાળથી જ નેતાગીરીનાં ગુણ ધરાવે છે.રામભાઇ એબીવીપી અને જનસંઘ તથા ભાજપ સાથે જોડાયેલા છે.રામભાઇનાં પરિવારમાં બે પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.1985માં ટ્રાવેલ્સ બાદ શ્રીમારૂતિ કુરિયર દ્વારા તેમણે દેશ-દુનિયામાં ખ્યાતિ મેળવી છે.મારૂતિ કુરિયરનાં CMD તરીકે રામભાઇ કાર્યરત છે.રામભાઇ પોરબંદર ન.પાનાં સદસ્ય પણ રહી ચુકયા છે.જો કે ભાજપ સાથે ચાર દાયકાની રાજ્કયી કારકિર્દીને પગલે રામભાઇ પર ભાજપે ઉમેદવાર તરીકે પસંદગીનો કળશ ઢોળ્યો છે.આ ઉપરાંત નરેન્દ્રભાઇ મોદીની ગુડબુકમાં તેમનું નામ મોખરે છે સાથે જ અમિત શાહ અને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ તેમને ઘનિષ્ઠ સંબંધ છે.રાજકોટ ભાજપનાં જૂના કાર્યકર હોવાની સાથે રામભાઇ બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.
જાણી લો ભાજપનાં ઉમેદવાર – દિનેશભાઇ પ્રજાપતિનો સંક્ષિપ્ત પરિચય
રાજ્યસભાનાં ઉમેદવાર તરીકે બનાસકાંઠાનાં આગેવાન દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ(અનાવાડીયા)ને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે.દિનેશભાઇનો જન્મ 28.7.1962એ થયો હતો.રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો દિનેશભાઇ કન્વીનર તરીકે ભાજપમાં સેવા આપી ચુકયા છે.આ ઉપરાંત ભાજપમાં ત્રણ ટર્મ સુધી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી છે.આ ઉપરાંત દિનેશભાઇએ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કોષાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે અને બનાસકાંઠા યુવા ભાજપનાં પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી ચુકયા છે.દિનેશભાઇ પ્રજાપતિ ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમમાં ડિરેકટર તરીકે કાર્યરત છે.આ ઉપરાંત દિનેશભાઇ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.ગુજરાત પ્રદેશ ભાજપનાં બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ તરીકે પણ દિનેશભાઇએ સેવા આપી છે.આ સાથે જ રાજ્યસભાની ટિકિટ દિનેશભાઇને અપાતા ઓબીસી સમાજને વધુ એક પ્રતિનિધિત્વ મળ્યું છે તેમ ચોક્કસથી કહી શકાશે.નાના સામાન્ય કાર્યકરથી માંડીને વિવિધ હોદ્દા સંભાળીને સેવા આપી ચુકેલા દિનેશભાઇને ભાજપે રાજ્યસભાની ટિકિટ ફાળવતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.
કોંગ્રેસ તરફથી ચોંકાનારો અહેવાલ
ભાજપની જાહેરાત બાદ કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવાર નહીં ઉતારાય તેવા અહેવાલ સામે આવ્યા હતા.મળતી જાણકારી અનુસાર હાલ કોંગ્રેસનાં ઉમેદવાર જીતવાની સ્થિતિમાં નથી તો બીજી બાજુ મહત્વપૂર્ણ સમીકરણને જોતા સભ્ય સંખ્યાબળ ના હોવાથી કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસ બે બેઠકો માટે રાજ્યસભામાં ઉમેદવાર નહીં ઉતારે.જો આ સમીકરણ સાચા ઠરશે તો ભાજપનાં બંને ઉમેદવારોની જીત બિનહરીફ થશે.