ખેડા જિલ્લાના મહુધામાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં થયો હતો જેમાં ચાર લોકોના મોત થયા છે. ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કારચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની એક જ પરિવારના સગાંસંબંધીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ લોકો ઈકો કાર લઈને આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શને જતાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલકની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
મહુધા તાલુકાના મંગળપુર પાટિયા પાસે મંગળવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી ઈકો કાર (નં. GJ-17-AH-0158) નડિયાદ તરફ આવી રહી હતી. ત્યારે સામેથી પૂરપાટે આવતા અજાણ્યા ટ્રેલરે ઉપરોક્ત કારને ટક્કર મારી હતી, આથી કાર ફંગોળાઈને રોડની સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાદ ટ્રેલરચાલક ફરાર થઈ ગયો હતો.
કારચાલકે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની છે અને એક જ પરિવારના સગાંસંબંધીઓ થાય છે. તમામ લોકો મંગળવાર ભરવા સંતરામપુરથી નીકળી આણંદના મલાતજ ગામે આવેલાં મેલડી માતાજીનાં દર્શને જતાં વચ્ચે રસ્તામાં અકસ્માત નડ્યો છે,જયારે બે ઇજાગ્રસ્ત થયાં છે તેમાં એક કાર ચાલક જિતુભાઇ બોઇ અને આકાશ દેવડા છે
અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ
- સુરેશભાઈ અંબાલાલ ભોઈ
- સંજયભાઈ અરજણભાઈ બારૈયા
- રાજુભાઈ શનાભાઈ ભોઈ
- સંજયભાઈ દિલીપભાઈ ભોઈ