મેલબર્ન,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ચાર રને પરાજય થયો છે. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમે ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મહેમાન ટીમ માત્ર ૧૬૯ રન જ બનાવી શકી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૧-૦ની લીડ બનાવી લીધી છે.
જો કે ત્રણ મેચની સિરીઝની બીજી મેચ ૨૨ નવેમ્બરના રોજ મેલબર્ન ખાતે રમાવવાની છે. સતત ૭ દ્વિપક્ષીય ટી-૨૦ સિરીઝ જીતી ચુકેલી ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ આ પહેલા ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે.
પ્રથમ મેચમાં ભારતીય બોલરોમાં ખાસ કરીને કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં ૫૫ રન આપી દીધા હતા, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલનો ટીમમાં સમાવેશ થઇ શકે છે.
આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કે એલ રાહુલના સ્થાને કોઈ અન્ય બેટ્સમેનનો સમાવેશ થઇ શકે છે કે ટીમના બેટિંગ ક્રમમાં ફેરફાર થઇ શકે છે.
જો કે ભારતીય ટીમની આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, “આ મેચમાં થયેલી હારથી વધુ દુઃખ થશે નહિ, કારણ કે હજી સિરીઝની બે મેચ રમાવવાની બાકી છે“.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ ૨૨ નવેમ્બરના રોજ મેલબર્ન અને અંતિમ મેચ ૨૫ નવેમ્બરે સિડની ખાતે રમાવવાની છે.