નવી દિલ્હી,
મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવ્યા બાદ ભારતીય ટીમના કોચ રમેશ પવાર અને રાજ વચ્ચે આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ગુરુવારે પવાર દ્વારા BCCIને પાઠવવામાં આવેલા પત્રમાં મિતાલી રાજ પર અનેક આરોપો લગાવ્યા હતા, ત્યારે હવે આ અંગે ભારતની સિનીયર બેટ્સમેને જવાબ આપ્યો છે.
રમેશ પવારના આરોપો અંગે જવાબ આપતા મિતાલી રાજે કહ્યું, “આ મારા જીવનનો કાળો દિવસ છે”.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “હું ભારતીય ટીમના કોચે લગાવેલા આરોપોથી ખુબ દુઃખી છું. રમત પ્રત્યે મારી પ્રતિબદ્ધતા અને દેશ માટે ૨૦ વર્ષ સુધી રમવા દરમિયાન મારી મહેનત ખરાબ ગઈ છે”.
પવારના આરોપો અંગે રાજે ઉમેર્યું, “આજે મારી દેશભક્તિ પર શંકા ઉભી કરવામાં આવી રહી છે, મારી યોગ્યતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને મારી પર કિચડ ઉછાળવામાં આવ્યું છે. આ મારા જીવનનો કાળો દિવસ છે. ભગવાન મને શક્તિ આપે”.
મિતાલી રાજ કોચને કરતા હતા બ્લેકમેલ : પવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા રમેશ પવારે પોતાનું મૌન તોડતા મિતાલી રાજ પર આરોપોની હારમાળા સર્જી હતી. તેઓએ BCCIને પાઠવેલા પોતાના રિપોર્ટમાં મિતાલી ટીમમાં દરાર ઉભી કરવાની સાથે સાથે કોચ પર દબાણ કરવું તેમજ બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પવારે કહ્યું હતું કે, “મિતાલીએ પોતાની ભૂમિકા ન નિભાવતા માત્ર પોતાની ઉપલબ્ધિઓ માટે બેટિંગ કર્યું હતું. આ કારણે બેટિંગમાં તેઓ ફ્લોપ રહી કે પોતાની લય જાળવી શકી ન હતી. આ કારણે ટીમના બીજા બેટ્સમેન પર ભાર વધી રહ્યો હતો”.