નવી દિલ્હી,
કેરિબિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરવામાં આવ્યું છે. ૪ ઓક્ટોબરથી શરુ થઇ રહેલી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં ૧૫ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઈંગ્લેંડમાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં કંગાળ ફોર્મમાંથી પસાર થયેલા ઓપનર બેટ્સમેન શિખર ધવનની બાદબાકી કરવામાં આવી છે.
બીજી બાજુ ટીમ સિલેકશન કમિટી દ્વારા આગામી શ્રેણીઓમાં ખેલાડીઓના વર્કલોડને જોતા ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જયારે ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં આપવામાં આવી છે.
૧૫ સભ્યોની ભારતીય ટીમમાં કર્ણાટકની ટીમના ખેલાડી મયંક અગ્રવાલ તેમજ ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની અભ્યાસ મેચમાં ૯૦ રન બનાવવાનો ફાયદો મયંક અગ્રવાલને મળ્યો છે.
આ ઉપરાંત અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા પૃથ્વી શો પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવી રાખવામાં સફળ રહ્યો છે.
જો કે આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના રમવા અંગે સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે, ટીમની કમાન કોહલી જ સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે રમાનારી બે ટેસ્ટમાંથી પ્રથમ ટેસ્ટ ૪ થી ૯ ઓક્ટોબર વચ્ચે રાજકોટમાં રમાશે, જયારે બીજી મેચ ૧૨ – ૧૬ ઓક્ટોબર વચ્ચે હૈદરાબાદમાં રમાશે.
ભારતીય ટીમ :
વીરાટ કોહલી (કેપ્ટન), અજીંકય રહાણે, કે એલ રાહુલ, પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિશભ પંત (વિકેટકીપર), આર આશ્વિન, રવિન્દ્ર જડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર