એડિલેડ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીની બીજી મેચ મંગળવારે એડિલેડ ખાતે રમાવવાની છે. ભારત પહેલી મેચ હારી ચુક્યું છે ત્યારે આ વન-ડે “કરો યા મરો” સમાન જોવા મળી રહી છે.
પ્રથમ વન-ડેમાં હાર બાદ પણ બીજી વન-ડેમાં ભારતીય ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. એક TV શોમાં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણીના કારણે કે એલ રાહુલ અને હાર્દિક પંડ્યા પહેલેથી બહાર થઇ ચુક્યા છે.
આ સંજોગોમાં ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ટીમમાં રવીન્દ્ર જાડેજાનું સ્થાન પાક્કું માનવામાં આવી રહ્યું છે.
જોવામાં આવે તો, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે એડિલેડનું ગ્રાઉન્ડ ખુબ ફળદાયી માનવામાં આવી રહ્યું છે, કારણ કે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કોહ્લીનું એવરેજ ૭૩.૪૪ છે જયારે વન-ડેમાં પણ તેઓનું એવરેજ ૪૬.૬૬ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલી વન-ડેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હાર મળી હતી. આ મેચમાં ભારત તરફથી સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી.