નવી દિલ્હી,
ગત વર્ષે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ગોલ ટેસ્ટ ફિક્સ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૨૬ જુલાઈથી ૩૦ જુલાઈ વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચ દરમિયાન પીચ સાથે છેડછાડ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ આ મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શનિવારથી તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.
અલ જજીરા નેટવર્કમાં દાવો કરાયો છે કે,”મુંબઈના એક પૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર રોબિન મોરિશે સ્વીકાર કર્યો છે, ગત વર્ષે પીચ સાથે છેડછાડ કરવા માટે એક મેદાનના કર્મચારીને લાલચ આપવામાં આવી હતી”.
ICCના એન્ટી કરપ્શન યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે જણાવ્યું, “અમારા દ્વારા અત્યારસુધીમાં મળેલી જાણકારીના આધાર પર ICCના સદસ્ય દેશોના એન્ટી કરપ્શનના મેમ્બરો સાથે મળીને તપાસ શરુ કરી દેવામાં આવી છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “અમારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા તમામ પુરાવાઓ અને જરૂરી સામગ્રી અમને આપવામાં આવે, જેથી ICC દ્વારા પૂરી તપાસ કરવામાં આવી શકે”.
આ ચેનલે પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે, “ગોલ સ્ટેડિયમમાં સહાયક મેનેજર, મેદાનના કર્મચારી થરંગા ઇન્ડિકાએ કહ્યું, “તેઓ બેટ્સમેન અને બોલરોને મદદરૂપ પિચ બનાવી શકે છે, જયારે તમને સ્પિન બોલિંગ કે ફાસ્ટ બોલિંગ માટે મદદરૂપ વિકેટ જોઈતી હશે તો તે પણ થઇ જશે”.
આ ઉપરાંત ઇન્ડિકાએ વધુ એક કથિત દાવો કર્યો છે કે, “તેઓએ બેટ્સમેન માટે મદદરૂપ પિચ બનાવી હતી. સ્ટિંગ કરાયેલા વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, ભારત બેટ્સમેનોની વિકેટ પર રમ્યું અને અમારા દ્વારા વિકેટ પૂરી રીતે દબાવવામાં આવ્યું અને તેના પર પાની છાંટીને તેને કડક કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, આ મેચ ગયા વર્ષે ૨૬ થી ૩૦ જુલાઇના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી અને આ મેચ ભારતે ૩૦૪ રનથી જીતી હતી. આ મેચમાં ઓપનર બેટ્સમેન શિખર ધવને ૧૯૦ રન અને ચેતેશ્વર પુજારાએ ૧૫૩ રન ફટકાર્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૬૦૦ રન બનાવ્યા હતા જયારે બીજી ઇનિંગ્સમાં કેપ્ટન કોહલીની શાનદાર સદી સાથે ૨૪૦ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો.
જયારે યજમાન શ્રીલંકન ટીમ બંને ઇનિંગ્સમાં અનુક્રમે ૨૯૧ અને ૨૪૫ રન જ બનાવી શકી હતી.