નવી દિલ્હી,
ભારતીય મહિલા ટીમની અનુભવી ખેલાડી મિતાલી રાજ અને કોચ રમેશ પવાર વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ એકબીજા સામે આરોપોનો મારો ચલાવામમાં આવી રહ્યો છે, ત્યારબાદ હવે પવારની ટીમના કોચપદેથી બાદબાકી થવાના એંધાણ છે.
ભારતીય ટીમના કોચ તરીકે રમેશ પવારનો ત્રણ મહિનાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે, આ સાથે જ હવે ટીમમાંથી તેઓની છુટ્ટી પણ નક્કી છે.
માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા આ પદ માટે નવા આવેદન મંગાવવામાં આવશે. આ દરમિયાન તેઓ દ્વારા આવેદન કર્યા બાદ પણ પવારના નામ પર ચર્ચા થશે નહિ.
BCCIના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, “રમેશ પવારનો કોન્ટ્રાક્ટ શુક્રવારે સમાપ્ત થઇ રહ્યો છે અને હવે તેઓના પાછા ફરવાની સંભાવના ખૂબ ઓછી છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવ્યા બાદ ભારતીય ટીમના કોચ રમેશ પવાર અને રાજે એકબીજા પર આરોપ લગાવ્યા હતા.
મિતાલી રાજ કોચને કરતા હતા બ્લેકમેલ : પવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા રમેશ પવારે પોતાનું મૌન તોડતા મિતાલી રાજ પર આરોપોની હારમાળા સર્જી હતી. તેઓએ BCCIને પાઠવેલા પોતાના રિપોર્ટમાં મિતાલી ટીમમાં દરાર ઉભી કરવાની સાથે સાથે કોચ પર દબાણ કરવું તેમજ બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પવારે કહ્યું હતું કે, “મિતાલીએ પોતાની ભૂમિકા ન નિભાવતા માત્ર પોતાની ઉપલબ્ધિઓ માટે બેટિંગ કર્યું હતું. આ કારણે બેટિંગમાં તેઓ ફ્લોપ રહી કે પોતાની લય જાળવી શકી ન હતી. આ કારણે ટીમના બીજા બેટ્સમેન પર ભાર વધી રહ્યો હતો”.
જો કે ત્યારબાદ રમેશ પવારના આરોપો અંગે જવાબ આપતા મિતાલી રાજે કહ્યું હતું કે, “આ મારા જીવનનો કાળો દિવસ છે”.
વધુમાં જણાવતા રાજે કહ્યું, “હું ભારતીય ટીમના કોચે લગાવેલા આરોપોથી ખુબ દુઃખી છું. રમત પ્રત્યે મારી પ્રતિબદ્ધતા અને દેશ માટે ૨૦ વર્ષ સુધી રમવા દરમિયાન મારી મહેનત ખરાબ ગઈ છે”