કોલંબો,
શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીની છઠ્ઠી મેચમાં અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમે વધુ એકવાર પોતાનો પરચમ બતાવ્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી રમાયેલી રોમાંચક મેચમાં બાંગ્લાદેશે યજમાન શ્રીલંકા પર ૨ વિકેટે વિજય મેળવી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઈનલમાં બાંગ્લાદેશનો મુકાબલો ભારત સામે રવિવારે થશે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૫૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુશલ પરેરા અને કેપ્ટન થિસારા પરેરાના શાનદાર અર્ઘી સદી ફટકારી હતી.
શ્રીલંકા દ્વારા આપવામાં આવેલા ૧૬૦ રનનો પીછો કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમે ૧ બોલ બાકી રહેતા આ સ્કોર વટાવ્યો હતો અને ૨ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઓપનર તામિમ ઇકબાલે સૌથી વધુ ૫૦ રન બનાવ્યા હતા જયારે આ જીતનો હીરો મહમુદૂલ્લાહએ માત્ર ૧૮ બોલમાં તાબડતોડ ૪૮ રનની ઈનિંગ રમી હતી અને મહેમાન ટીમને વિજય અપાવ્યો હતો.
મહત્વનું છે કે, રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમ પહેલેથી ટુર્નામેન્ટની ચાર મેચોમાંથી ત્રણ મેચ જીતી ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. ત્યારે હવે રવિવારે રમાનારી ફાઈનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.