- મુંબઈઃ ક્રિકેટની દુનિયાને ‘ભગવાન’ આપનારા ક્રિકેટના મહાન ગુરુ (કોચ) રમાકાંત આચરેકરનું આજે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. તેમનું નિધન શિવાજી પાર્કની પાસે દાદર સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે થયું છે. તેમને ઉંમર સંલગ્ન બીમારીઓ હતી. કોચ રમાકાંત આચરેકરના પરિવારના સભ્ય એવા રશ્મી દેવીએ સમાચાર એજન્સી પીટીઆઈને આ સમાચારની પુષ્ટિ કરી છે.
ભારતીય ક્રિકેટમાં આપેલા મહાન યોગદાન માટે રમાકાંત આચરેકરને સરકાર દ્વારા ‘પદ્મ શ્રી’ અને ‘દ્રોણાચાર્ય’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમાકાંત આચરેકરની કોચિંગમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી. સમીર દીધે, પ્રવીણ આમરે. ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની રમતને વધુ નિખારી હતી. રમાકાંત આચરેકરના નિધનના સમાચાર સાંભળીને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સચિન તેંડુલકરે બાળપણમાં જ્યારે ક્રિકેટ શિખવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેના ભાઈ અજીત તેંડુલકરે શિવાજી પાર્કમાં સચિનની મુલાકાત રમાકાંત આચરેકર સાથે કરાવી હતી. ત્યારબાદ અહીંથી ગુરૂ-શિષ્ય એવા આચરેકર-તેંડુલકરની આ જોડીને ક્રિકેટ વિશ્વમાં બહોળી ખ્યાતી મળી હતી.