સાઉથમ્પ્ટન,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ૬૦ રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ સાથે જ ભારતીય ટીમે શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે અને ૧૧ વર્ષ બાદ ઈંગ્લેંડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પણ અધૂરું રહ્યું છે.
અત્યારસુધીમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચોમાં ભારતની થયેલી હાર માટે બેટ્સમેનનોનું કંગાળ ફોર્મને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. એક બાજુ જ્યાં ભારતીય ટીમનો એક માત્ર ખેલાડી વિરાટ કોહલી જ ટીમ માટે સંકટમોચક બન્યા છે ત્યારે ભારતના અન્ય ખેલાડીઓ નાકામ સાબિત થઇ રહ્યા છે.
દુનિયાના નંબર એક બેટ્સમેન અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો, કોહલીએ ૪ મેચોમાં ૫૪૪ રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેઓએ બે સદી ફટકારી ચુક્યો છે. બીજી બાજુ ભારતના અન્ય ખેલાડીઓ ઈંગ્લેંડના બોલરો સામે પત્તાની જેમ વેર વિખેર થઇ રહ્યા છે.
ઈંગ્લેંડમાં કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલા ખેલાડીઓમાં ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ, શિખર ધવન, મુરલી વિજય, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકનો સમાવેશ થાય છે :
૧. કે એલ રાહુલ :
IPL અને વન-ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી ટેસ્ટ ક્રિકેટમાં પ્રદાર્પણ કરનારા ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ આ ટેસ્ટ સિરીઝમાં પોતાના કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. રાહુલે આ ટેસ્ટ સિરીઝમાં કુલ ૧૧૩ રન જ બનાવ્યા છે.
૨. શિખર ધવન :
ભારતીય ટીમમાં ગબ્બર તરકે ઓળખાતા ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા છે. શિખર ધવને જયારે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું ત્યારે તે પોતાની ટેકનિકના કારણે ખુબ ચર્ચામાં હતો, પરંતુ વિદેશી ધરતી હવે તે કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. આ ટેસ્ટ શ્રેણી દરમિયાન ધવને ૫૦ રનનો વ્યક્તિગત આંકડો પણ વટાવી શક્યો નથી.
૩. મુરલી વિજય :
ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર બેટ્સમેન મુરલી વિજયને હંમેશા પોતાની ટેકનિકના કારણે એક સક્ષમ બેટ્સમેન માનવામાં આવે છે. વિજયે અત્યારસુધીમાં ડોમેસ્ટિક અને ગત ઈંગ્લેંડના પ્રવાસમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ ટેસ્ટ સિરીઝમાં તે સદંતર નિષ્ફળ રહ્યો છે. પ્રથમ બે ટેસ્ટમાં વિજયે કુલ ૩૨ રન બનાવ્યા હતા અને ત્યારબાદ તેને ટીમમાંથી ભાર કાઢવામાં આવ્યો છે.
૪. દિનેશ કાર્તિક :
ભારતીય ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સહાની જગ્યાએ દિનેશ કાર્તિકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પોતાના શાનદાર ફોર્મ અને અનુભવ બાદ પણ કાર્તિકે આ સિરીઝ દરમિયાન પોતાના ફોર્મથી નિરાશ કર્યા છે.
૫. હાર્દિક પંડ્યા :
ક્રિકેટના માર્યાદિત ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા એક ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાની સરખામણી ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે થઇ રહી હતી. પરંતુ ઈંગ્લેંડના પ્રવાસ માટે પંડ્યા પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તે પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ યથાવત રાખવામાં નિષ્ફળ નીવડ્યો છે.