બર્મિઘમ,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિઘમના એજ્બેસ્ટન ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં જોવા મળી રહી છે. યજમાન ઇંગ્લેન્ડની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે ત્રીજા દિવસના અંત સુધી ૫ વિકેટે ૧૧૦ રન બનાવી લીધા છે અને જીતથી ૮૪ રન દૂર છે અને હાલ પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી ૪૩ રન અને દિનેશ કાર્તિક ૧૮ રને રમતમાં છે.
જો કે ભારતીય ટીમ વિજયથી ૮૪ રન દૂર છે, પરંતુ ટીમનો દારમ દાર વિરાટ કોહલીના ખભા પર જ છે, ત્યારે ઇંગ્લેન્ડની ટીમ પણ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી કોહલી ક્રિઝ પર છે ત્યાં સુધી તે પણ જીત મેળવી શકતા નથી.
આ વચ્ચે વિરાટ કોહલીના પ્રતિસ્પર્ધી જેમ્સ એન્ડરસને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલરે જણાવ્યું, “ત્રીજા દિવસ પછી રાત્રે સપનામાં જ તેઓ પહેલા ભારતીય કેપ્ટનને આઉટ કરી દે”.
જેમ્સ એન્ડરસને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “આજે અમે જઈને સુઈ જઈશું અને એ સપનું જોઈશું કે કાલે મેદાનમાં ઉતરવાની સાથે જ કોહલીને આઉટ કરીએ”.
મહત્વનું છે કે, વિરાટ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચેનો જંગ ખૂબ જુનો છે. આ પહેલા ૨૦૧૪માં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં એન્ડરસને કોહલીને ખૂબ હેરાન કર્યો હતો. ચાર વર્ષ પહેલા વિરાટ કોહલીએ ૫ ટેસ્ટ મેચમાં માત્ર ૧૩૪ રન જ બનાવ્યા હતા.
જો કે આ પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચમાં જ કોહલીએ પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રન બનાવવાની સાથે બીજી ઇનિંગ્સમાં પણ ૪૩ રને ક્રિઝ પર છે.