ગાંધીનગર,
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી આઈ.કે. જાડેજાના સેક્ટર 8 સ્થિત આવેલા નિવાસે ઘરકામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યું છે કે યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આઈ.કે. જાડેજાના સર્વન્ટ રૂમમાં ઘરકામ કરતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સેક્ટર-7 પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ આઈ.કે. જાડેજાનું મકાન સેક્ટર 8 ખાતે આવેલું છે. પ્લોટ નંબર 724, A-1ના બહારના ભાગે સર્વન્ટ ક્વાર્ટર્સ બનાવેલું છે જેમાં ચોકીદાર અને તેનો પરિવાર રહે છે. અને સાથે-સાથે જાડેજાના મકાનની સાફ સફાઈ સહિતની કામગીરી પણ સંભાળે છે.
મધ્યરાત્રીએ સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતા સેજલબેન રાયમલભાઈ દેસાઈએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતા પરિવાર અને અન્ય સભ્યોને આ ઘટનાની જાણ થતા કુંટુબીજનો હેબતાઈ ગયા હતા. મધ્યરાત્રીએ લગભગ 12.45 વાગે બનેલી આ ઘટના અંગે જાણ કરાતા સેક્ટર-7 પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સેજલબેનના મૃતદેહને પીએમ માટે મોકલી,પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.