આજે શેરબજારમાં સારી શરૂઆત થઈ હતી. સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારના દિવસે બજાર ખુલતા જ ‘મંગળ’ શરૂઆત જોવા મળી. પરંતુ થોડા જ સમયમાં બજાર રેડ નિશાન તરફ ટ્રેડ કરવા લાગ્યું. આજે રોકાણકારોને મોટી નિરાશ સાંપડી છે. શેરબજારમાં કારોબારના અંતે BSE સેન્સેક્સ 802 પોઈન્ટના ઘટાડા સાથે 71,139 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 215 પોઈન્ટના ઘટાડા સાથે 21,522 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં આજના કારોબારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 375.38 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 377.13 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.75 લાખ કરોડનો ઘટાડો થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 નુકસાન સાથે અને 5 વધ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 36 નુકસાન સાથે બંધ થયા હતા.
આજના કારોબારમાં એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કોમોડિટી, ઈન્ફ્રા, એફએમસીજી, ફાર્મા આઈટી, ઓટો, બેન્કિંગ સેક્ટરના શેરો બજારમાં ઘટાડા સાથે બંધ થયા છે. માત્ર મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરોમાં જ ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. ગત રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. અને આજે બીજા દિવસે બજાર ખુલતા આઈટી અને બેંકીગ શેરોમાં ઉછાળા જોવા મળ્યો જે બજાર બંધ થવાના સમયે ભારે ઘટાડા સાથે બંધ થયા હતા.
શેરબજારમાં આજે ટ્રેડિંગમાં BPCL 2.34 ટકા, ટાટા મોટર્સ 2.12 ટકા, ગ્રાસિમ 1.03 ટકા, આઇશર મોટર્સ 0.97 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.86 ટકા, SBI 0.61 ટકા, HUL 0.58 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ 5.21 ટકા, ટાઇટન 3.39 ટકા, બજાજ ફિનસર્વ 2.83 ટકા, NTPC 2.80 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
1 ફેબ્રુઆરી બજેટ રજૂ થવાનું છે. જો કે સંસદીય સમિતિએ દેશની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે સંરક્ષણ બજેટ પર વિશેષ ધ્યાન આપવાની ભારત સરકારને રજૂઆત કરતો એક રિપોર્ટ રજૂ કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પડોશી દેશોના વધતા સંરક્ષણ બજેટ, વૈશ્વિક સુરક્ષા સંબંધિત પડકારો અને ભવિષ્યના સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને આ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વમાં અત્યારે યુદ્ધનો માહોલ છે. યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે. માટે આપણે આધુનિક પદ્ધતિના પડકારનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. આ માટે સંરક્ષણ મંત્રાલયને ડ્રોન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વિકસાવવા પૂરતું ભંડોળ પૂરું પાડવું જોઈએ. આપણા દળોને વધુ આધુનિક બનાવવાની જરૂરિયાત પર સંસદિય સમિતિ દ્વારા ભાર મૂકવામાં આવતા બજેટમાં ફાળવણીની રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ હનુમાન ધ્વજ વિવાદ કેસમાં હિંદુ કાર્યકરો અને ગ્રામીણ યુવાનો વિરુદ્ધ FIR નોંધાઈ, તહેસીલદારે કરી ફરિયાદ