રિપોર્ટર કાર્તિક વાજા, ઉના , મંતવ્ય ન્યુઝ
વાવાઝોડા અસરગ્રસ્ત ૪૮ હજાર ખેડૂતોના વાડી-બગીચાનો થયો સર્વે થયુ….
નુકશાન અંગેના રાહત પેકેજનો નિયમો મુજબ લાભ આપવાનું પ્રાથમિક આકલન તૈયાર..
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં કૃષિમંત્રી આર.સી.ફળદુના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કરાયુ.
ગીર સોમનાથ જિલ્લાના કુલ ૭૫ હજાર હેક્ટર ખેત વાવેતર વિસ્તારમાંથી ૪૫ હજાર હેકટર વિસ્તાર તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયો…
ઊના – તાઉ તે વાવાઝોડાથી ખેડૂતોના બાગાયતી અને ખેતીના અન્ય પાકોને નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયાકાંઠાના ઉના ,ગીર ગઢડા અને કોડીનારના કેટલાક ગામમાં બાગાયતી પાકોના ઝાડ ધરાશાયી થયા છે. વાવાઝોડાને લીધે ખેડૂતો પર આવેલી કુદરતી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરવા કટિબદ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા અંતર્ગત ખેડૂતો માટે રૂપિયા ૫૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે .તેના લાભો ખેડૂતો સુધી યુદ્ધના ધોરણે પહોંચે તે માટે સમગ્ર ખેતીવાડી વિભાગ સ્થાનિક પ્રશાસનના સંકલનથી રાત દિવસ કામ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને સંયુક્ત નિયામક, નાયબ બાગાયત નિયામક સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં સર્વેની તાત્કાલિક કામગીરી માટે કુલ ૧૭૫ કર્મચારીઓ, સ્થાનિક જિલ્લાના તેમજ અન્ય જિલ્લામાંથી ડેપ્યુટ કરીને સર્વે પૂર્ણ કરવામાં આવી રહેલ છે. ગીર સોમનાથ જિલ્લામાં સર્વે કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બાગાયતી ફળાઉ ઝાડ પડી જવાની નુકસાની ખાસ કરીને ઉના અને ગીર ગઢડા માં વધારે જોવા મળી છે .કોડીનારના કેટલાક ગામ માં પણ છે.તેમજ તાલાલા અને જિલ્લાના અન્ય વિસ્તારમાં આંબાના ઝાડ પરથી કેસર કેરીનો પાક ખરી ગયાનુ જોવા મળ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૭૫ હજાર ખેત વાવેતર વિસ્તાર છે, તેમાં ખેતીના પાકો તેમજ બાગાયતી પાકનું વાવેતર થયેલ હતું .વાવાઝોડામાં જિલ્લાનો ૪૫ હજાર હેકટર જેટલો ખેત અને બાગાયતી હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. અને ૪૮૦૦૦ જેટલા ખેડૂતોના બાગ-બગીચા વાડી ની મુલાકાત લઇ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો છે . પ્રાથમિક આકલન કરી સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલી જોગવાઈ અને નુકસાની ની ટકાવારી મુજબ અને નિયત કરાયેલી વ્યવસ્થા -નિયમો મુજબ લાભાર્થી ખેડૂતોને રાહતોનો લાભ આપવા માટે રાહત પેકેજની જોગવાઈ મુજબ મદદ કરવા માટે પ્રાથમિક અંદાજિત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી ગણતરીના દિવસોમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
ખેડૂતોને થયેલી નુકશાનીમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી મદદ રાહતો તાત્કાલિક મળી રહે તે માટે રાજ્યકક્ષાએથી કાર્યવાહી ખૂબ ઝડપથી તૈયાર થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉના વિસ્તારના ગામોમાં ખેતીવાડી અને મકાનોની થયેલ નુકશાની અંગે મુલાકાત લીધી હતી.આ ઉપરાંત કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પણ તાલાલા ,ગીર ગઢડા અને ઉના વિસ્તારના બાગાયતી અને ખેતી પાકોને થયેલ નુકશાન અંગે નિરીક્ષણ કર્યુ હતું. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જિલ્લા કલેકટર અજય પ્રકાશ દ્વારા પણ આ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે .જેને લીધે સમગ્ર પ્રશાસનની મદદથી ખેડૂતો દ્વારા અપાયેલી માહિતી અને સહકાર ના આધારે સમગ્ર ડેટા સર્વે પૂર્ણ કરવામાં આવી રહેલ છે. જેના આધારે હવે ખેડૂતોને રાહતો લાભો મળનાર છે…